મોદીના નામે કાત્જુ અને જેટલી સામ-સામે, મોદીએ પણ લીધો કાત્જુનો ઉધડો
જોકે રવિવારે મોદીએ પણ આ વાકયુદ્ધમાં ઝંપલાવી જસ્ટિસ કાત્જુ પર પ્રહારો કર્યા હતા. મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં આ અંગે જણાવ્યું કે 'જસ્ટીસ કાત્જુ ગુજરાતને ભેદભાવની નજરોથી જોઇ રહ્યા છે. કાત્જુ ગુજરાતને જોન્ડિસગ્રસ્ત આંખોથી ગુજરાતને જોઇ રહ્યા છે. અરૂણ જેટલી દ્વારા લખાયેલો લેખ ગુજરાત અંગે ફેલાવતા આવા જુઠ્ઠાણાઓનું ખંડન કરે છે.'
જોકે થોડા દિવસો પહેલા બીજેપી નેતા અરૂણ જેટલીએ બીજેપીની વેબસાઇટ પર કાત્જુની ટીકા કરતા લખ્યુ હતું કે કાત્જુ માત્ર બિન-કોંગ્રેસી રાજ્યો પર જ ટિપ્પણ અને ટીકા કરે છે. તેઓ એવી રીતે બિન કોંગ્રેસી રાજ્યોની ટીકા કરે છે જાણે તેઓ રિટાયરમેન્ટ બાદ તેમને નોકરી આપનારાઓનો આભાર માનતા હોય. તેઓ એક કોંગ્રેસી નેતા કરતા પણ વધારે કોંગ્રેસી છે.
અરૂણ જેટલીની આવી તીખી ટીપ્પણી બાદ જસ્ટિસ કાત્જુએ જેટલી પર પલટવાર કરતા જણાવ્યું કે બીજેપી નેતા હંમેશા વ્યક્તિગત પ્રહાર કરતા આવ્યા છે. તેમણે પોતાની સફાઇ આપતા જણાવ્યું કે તેમણે કોઇપણ પાર્ટીનો પક્ષ લીધાવગર પોતાનો મત રાખ્યો છે. તેમણે ઉદાહરણ આપતા જણાવ્યું કે તેમણે ઘણીવખત કોંગ્રેસી સરકારોની પણ ટીકા કરી છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા એક અંગ્રેજી અખબારમાં લખેલા એક લેખમાં કાત્જુએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ટીકા કરતા જણાવ્યું હતું કે દેશના લોકો સમજી વિચારીને પોતાનો પ્રધાનમંત્રીની પસંદગી કરે. મોદીની હિન્દુત્વવાદી છબીને ધ્યાનમાં રાખીને આ ટિપ્પણી કરી હતી. તેમની આ ટિપ્પણી બાદ વિવાદ ઉભો થયો છે. આ પહેલા તેમણે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પણ પ્રેસની સ્વતંત્રતા પર તરાપ મારવાનો આરોપ લગાવી ટીકા કરી હતી.