શહિદ અગ્નિવીરના પરિવારે અગ્નિપથ યોજના રદ કરવા માંગ કરી, જાણો શું કહ્યું?
નરેન્દ્ર મોદી સરકારની અગ્નિપથ યોજના પર સતત સવાલો ઉભા થઈ રહ્યાં છે. શહિદ અગ્નિવીરોને શહિદનો દરજ્જો ન આપતી આ યોજના પર હવે શહિદના પરિવારે જ સવાલ ઉભા કરી દીધા છે.
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સૈન્ય ભરતી યોજના અગ્નિપથને લઈને ગૃહમાં પ્રશ્નો ઉઠાવ્યા પછી સેનાની સ્પષ્ટતા પછી પણ મુદ્દો નરમ પડ્યો નથી.

આ દરમિયાન પંજાબના શહીદ અગ્નિવીરના પરિવારે સ્વીકાર્યું છે કે, તેમને 98 લાખ રૂપિયાનું વળતર મળ્યું છે. જો કે, અગ્નિવીરનો પરિવાર સેનાની ભરતી યોજનાથી સંતુષ્ટ નથી. એક નિવેદનમાં પરિવારના સભ્યોએ કેન્દ્ર સરકાર પાસે કેટલીક વધુ માંગણીઓ કરી છે.
લુધિયાણાના રામગઢ સરદાર ગામનો અજય કુમાર અગ્નિપથ યોજના હેઠળ ભારતીય સેનામાં ભરતી થયો હતો. જાન્યુઆરી 2024માં જમ્મુ-કાશ્મીરના રાજૌરી વિસ્તારમાં લેન્ડમાઈન બ્લાસ્ટમાં ઘાયલ થયા બાદ તે શહીદ થયો હતો.
સોમવારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ 18મી લોકસભાના પ્રથમ સત્રમાં અગ્નિપથ યોજનાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે અજય કુમારના પરિવાર સાથેની મુલાકાતનો વીડિયો પણ શેર કર્યો હતો.
રાહુલ ગાંધીએ ગૃહમાં દાવો કર્યો હતો કે અગ્નિવીરના અજયના પરિવારને વળતર તરીકે માત્ર 48 લાખ રૂપિયા મળ્યા છે. જ્યારે રક્ષા મંત્રીએ રાહુલ ગાંધીના આ નિવેદનને ખોટી રજૂઆત ગણાવી. તેમણે કહ્યું કે શહીદ અગ્નિવીરના પરિવારને 1 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
બાદમાં આ મુદ્દે સ્પષ્ટતા કરતા સેનાએ કહ્યું કે એવું સાંભળવામાં આવ્યું છે કે શહીદ અગ્નવીર અજય કુમારના પરિવારને યોગ્ય વળતર આપવામાં આવ્યું નથી. પરંતુ તે એવું નથી. 98.39 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.
હવે શહીદ અગ્નિવીર અજય કુમારના પરિવારજનોનું નિવેદન સામે આવ્યું છે. અગ્નિવીર શહીદના પિતાએ કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે અગ્નિવીર યોજના નાબૂદ થાય અને અમને પેન્શન અને કેન્ટીન કાર્ડ મળવું જોઈએ. સરકારે અમને પૈસા આપ્યા છે, પરંતુ અમે ઈચ્છીએ છીએ કે તેઓ આ યોજના બંધ કરે.
અજય કુમારની બહેને કહ્યું કે, વળતરની રકમ અપૂરતી છે. વળતરની રકમ અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે મીડિયાને આપેલા નિવેદનમાં જણાવ્યું કે, મારા ભાઈએ ચાર વર્ષની સેવામાં જીવ ગુમાવ્યો. જ્યારે સરકાર ₹1 કરોડનું વચન આપે છે, શું કોઈ પણ પરિવાર તેના વિના જીવી શકે? તેણીએ અગ્નિવીર યોજનાના પુનઃ મૂલ્યાંકનની પણ માંગણી કરી.












Click it and Unblock the Notifications
