5000 કરોડનો ચૂનો લગાવી વધુ એક ગુજરાતી ભાગ્યો વિદેશ
5000 કરોડનો ચૂનો લગાવી વધુ એક ગુજરાતી ભાગ્યો વિદેશ
અમદાવાદઃ ગુજરાતની સ્ટર્લિંગ બાયોટેક કંપનીના માલિક અને 5000 કરોડના કૌભાંડી નીતિન સંદેસરાની દુબઈથી ધરપકડ થઈ હોવાના અહેવાલના એક મહિના બાદ મોટો ખુલાસો થયો છે. માનવામાં આવી રહ્યું છે કે નીતિન સંદેસરા નાઈઝીરિયા ભાગી ગયો છે. જણાવી દઈએ કે નીતિન સંદેસરા ઈડી અને સીબીઆઈના વૉન્ટેડ લિસ્ટમાં સામેલ છે. નીતિનની ધરપકડના અહેવાલ બાદ વાત સામે આવી હતી કે તે નાઈઝીરિયા કે યુએઈમાં ભાગી શકે છે. સીબીઆઈ અને ઈડીના મુખ્ય સૂત્રો મુજબ સંદેસરા અને એના પરિવારના અન્ય સભ્યો નાઈઝીરિયામાં છૂપાયા છે.
ધરપકડના અહેવાલ
સૂત્રો મુજબ સંદેસરાના ભાઈ ચેતન સંદેસરા અને એની પત્ની દીપ્તિબેન સંદેસરા નાઈઝીરિયામાં છૂપાયાં છે. ઉલ્લેખનીય છે કે નાઈઝીરિયા સાથે ભારતની પ્રત્યર્પણની કોઈ સંધિ નથી, એવામાં નિતિનને ભારત પરત લાવવો સહેલું નથી. એક અધિકારીએ જણાવ્યું કે ઓગસ્ટ મહિનાના બીજા અઠવાડિયે દુબઈથી યુએઈ પ્રશાસને નિતિનની ધરપકડ કરી હોવાના અહેવાલ મળ્યા હતા. પરંતુ આ ખોટા અહેવાલ હોવાનું માલુમ પડ્યું છે. તેની ધરપકડ નથી કરાઈ. તે પોતાના પરિવાર સાથે નાઈઝીરિયા ભાગી ગયો હતો.
રેડ કોર્નર નોટિસ
માનવામાં આવી રહ્યું છે કે ભારતની તપાસ એજન્સિઓ નીતિન સંદેસરાને ભારતને સોંપી દેવામાં આવે તે માટે યુએઈને અપીલ કરશે. સાથે જ સંદેસરા વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવે તે દિશામાં પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે સંદેસરા ભારતના પાસપોર્ટ પર નાઈઝીરિયા ગયો છે કે પછી કોઈ બીજા દેશના.
આખા પરિવાર વિરુદ્ધ મામલો
સીબીઆઈ અને ઈડીએ ગુજરાતના વડોદરા સ્થિત સ્ટર્લિંગ બાયોટેક અને તેના ડાયરેક્ટર નિતિન ચેતન, દીપ્તિ સંદેસરા, રાજભૂષણ ઓમપ્રકાશ દીક્ષિત, વિલાસ જોશી, સીએ હેમંત હાથી, પૂર્વ આંધ્ર બેંકના ડાયરેક્ટર અનૂપ ગર્ગ સહિત અજાણ્યા લોકો વિરુદ્ધ 5000 કરોડનું ફ્રોડ કરવાના મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે ઈડીએ જૂન મહિનામાં દિલ્હીના બિઝનેસમેન ગગન ધવન અને ગર્ગની 4700 કરોડની સંપત્તિને સીઝ કરી હતી.
300થી વધુ ડમી કંપની
આરોપ છે કે સંદેસરાએ 300થી વધુ ડમી કંપનીઓ બનાવી હતી, સાથે જ વિદેશમાં પણ કેટલીક ડમી કંપનીઓ બનાવી હતી અને ભારતથી ત્યાં રૂપિયા મોકલતો હતો. આ તમામ ડમી કંપનીઓ દ્વારા રૂપિયાને દેશની બહાર મોકલવમાં આવ્યા અને ડમી બેલેન્સ શીટ તૈયાર કરવામાં આવી હતી. આ તમામ કંપનીઓને ખુદ સંદેસરા ડમી ડાયરેક્ટર તરીકે ચલાવતો હતો. આ કંપનીઓ દ્વારા જ ખરીદ-વેચાણ કરવામાં આવતું હતું, જેના આધારે બેંક પાસેથી લોન મેળવવામાં આવી હતી.
રિટાયરમેંટ પહેલા 6 દિવસમાં અયોધ્યાથી લઈ આધાર સુધીની સુનાવણી કરશે CJI દીપક મિશ્રા