મનમોહન, નવાઝ વચ્ચે સપ્ટેમ્બરમાં બેઠકની સંભાવના
પાકિસ્તાનના સમાચાર માધ્યમોએ આ બાબતની સંભાવના દર્શાવી છે. આ મુદ્દે ભારતીય અધિકારીઓનું કહેવું છે કે તેમને આ મુદ્દે હજી સુધી કોઇ સૂચના મળી નથી. વિદેશ બાબતો અંગે શરીફના વિશેષ સલાહકાર સરતાજ અઝીઝના નિવેદનના આધારે પાકિસ્તાની અખબાર ડૉન દ્વારા જણાવવામાં આવ્યું છે કે સપ્ટેમ્બરમાં મનમોહન સિંહ અને નવાઝ શરીફ વચ્ચે મુલાકાત થઇ શકે છે.
પૂર્વ વિદેશ મંત્રી રહી ચૂકેલા અઝીઝે બ્રુનેઇમાં ભારતના વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ સાથેની એક મુલાકાત બાદ આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે બંને નેતાઓ આસિયાન ક્ષેત્રીય મંચની મંત્રીમંડળીય બેઠકમાં ભાગ લઇ રહ્યા છે. આ મુલાકાત અંદાજે 20 મીનિટ સુધી ચાલી હતી.
બીજી તરફ ભારતીય અધિકારીનું કહેવું છે કે આ પ્રકારની મુલાકાતની હજી સુધી કોઇ શક્યતા નથી. જ્યારે અઝીઝે જણાવ્યું છે કે ભારતે દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તે બંને દેશો વચ્ચે સકારાત્મક સંબંધો બનાવવા માટે પગલાં લેવા ઇચ્છે છે.