Meghalaya Election: મેઘાલયના પૂર્વ ગૃહમંત્રીનુ નિધન, સોહિયોંગ સીટ પર ચૂંટણી સ્થગિત
એચડીઆર લિંગદોહ કે જે સોહિયોંગ વિધાનસભા મતવિસ્તારના ઉમેદવાર હતા, તેમનુ હૃદયરોગના હુમલાથી નિધન થઈ ગયુ હતુ. જેના કારણે મેઘાલયમાં સોહિયોંગમાં ચૂંટણી સ્થગિત કરવામાં આવી.
Meghalaya Election: મેઘાલયમાં આગામી 27 ફેબ્રુઆરીના રોજ વિધાનસભા ચૂંટણી થવાની છે. આ દિવસે રાજ્યની બધી 60 વિધાનસભા સીટો માટે મતદાનની તારીખ નક્કી કરવામાં આવી હતી પરંતુ રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને સોહિયોંગ વિધાનસભા વિસ્તારના યુનાઈટેડ ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર એચડીઆર લિંગદોહના મૃત્યુ બાદ આ સીટ પર ચૂંટણી ટાળી દેવામાં આવી છે. મુખ્ય ચૂંટણી અધિકારી એફઆર ખારકોનગરે જણાવ્યું હતું કે એચડીઆર લિંગદોહ, જે સોહિયોંગ વિધાનસભા મતવિસ્તારના ઉમેદવાર હતા, તેમનુ હૃદયરોગના હુમલાથી નિધન થઈ ગયુ હતુ. અહીં ચૂંટણી પ્રક્રિયા સ્થગિત થઈ શકે છે.

એચડીઆર લિંગદોહ ચૂંટણી પ્રચાર દરમિયાન અચાનક બેભાન થઈ ગયા હતા. ત્યારાબ તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં તેમનુ મૃત્યુ થયુ. તેમના મૃત્યુ બાદ મુખ્યમંત્રી કોનરાડ કે સંગમાએ શોક વ્યક્ત કર્યો અને સમાજમાં તેમના યોગદાનને યાદ કર્યુ. મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને લખ્યુ કે, વરિષ્ઠ નેતા એચડીઆર લિંગદોહના આકસ્મિક નિધનથી હું ખૂબ જ દુઃખી છુ. લિંગદોહ વર્ષોથી અનેક હોદ્દા પર રહી ચૂક્યા છે. તેમનુ નિધન મેઘાલય માટે મોટી ખોટ છે. તેમના આત્માને શાંતિ મળે.
મેઘાલયના પૂર્વ ગૃહમંત્રી લિંગદોહ ગત ચૂંટણીમાં હારી ગયા હતા. તેમણે 2018માં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી, ત્યારબાદ તેઓ UDPની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા હતા. તેઓ મુકુલ સંગમાની સરકારમાં ગૃહમંત્રી હતા. લોકો તેમને માહેના નામથી ઓળખતા હતા. સૌપ્રથમ 1988માં તેમણે સોહિયોંગથી ચૂંટણી જીતી હતી. નોંધનીય છે કે મેઘાલયમાં કુલ 60 વિધાનસભા બેઠકો છે. જેમાંથી 59 બેઠકો પર 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. મેઘાલયની સાથે નાગાલેન્ડમાં પણ 27 ફેબ્રુઆરીએ મતદાન થશે. ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડ ચૂંટણીના પરિણામો 2 માર્ચે આવશે. ત્રિપુરાની તમામ 60 બેઠકો માટે 16 ફેબ્રુઆરીએ મતદાન થયુ હતુ.












Click it and Unblock the Notifications
