મિડ ડે મીલ કરુણાંતિકા : સ્કૂલ પ્રિન્સિપાલની મિલકત જપ્ત કરાશે
પટના, 20 જુલાઇ : બિહારમાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત દૂષિત ભોજન ખાધા બાદ 23 બાળકોનો ભોગ લેનારી કરુણાંતિકામાં સારણ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાનાં ફરાર મહિલા પ્રિન્સિપાલ મીના દેવીની મિલકતોને બિહાર સરકાર જપ્ત કરશે.
બિહારના રાજ્ય મિડ ડે મીલ વિભાગના ડિરેક્ટર આર લક્ષ્મણનનું કહેવું છે કે ગયા મંગળવારે સર્જાયેલી મધ્યાન્હ ભોજન કરૂણાંતિકા વિશે સરકારે કરાવેલી તપાસના અહેવાલમાં બાળકોનાં મોત માટે મીના દેવીને જવાબદાર ગણાવવામાં આવ્યાં છે. ગંદમાન ગામની તે સ્કૂલને હવે નજીકની એક માધ્યમિક શાળા સાથે વિલીન કરી દેવામાં આવશે જેથી બાળકોને વધારે સારી ગુણવત્તાવાળું ભોજન પીરસી શકાય.
સારણના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ સુજીત કુમારે કહ્યું છે કે મીના દેવીનો હજી સુધી કોઈ પત્તો લાગ્યો નથી. હાજર થવા માટે તેમની પર દબાણ લાવવા એમની પ્રોપર્ટી જપ્ત કરવાનો વહીવટીતંત્રે નિર્ણય લીધો છે. લક્ષ્મણને એમ પણ કહ્યું છે કે રાજ્ય સરકારે ભાડાની જગ્યા કે બિસ્માર હાલતવાળા મકાન કે માળખામાં સ્કૂલ ચલાવવા ન દેવાનો નિર્ણય લીધો છે. તદુપરાંત શાળાઓમાં સંપૂર્ણપણે સુવિધા અને સાધનસંપન્ન રસોડા તૈયાર કરવાનો પણ નિર્ણય લીધો છે.













Click it and Unblock the Notifications
