દિલ્લીમાં મજૂરોને મળતુ લઘુત્તમ વેતન અન્ય કોઈ પણ રાજ્યની તુલનામાં સૌથી વધુઃ મનીષ સિસોદિયા
દિલ્લીની આપ સરકારમાં ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ દિલ્લીના અકુશળ, અર્ધકુશળ અને અન્ય શ્રમિકોનુ મોંઘવારી ભથ્થુ વધારવાનો આદેશ જાહેર કરીને દિવાળી પહેલા શ્રમિકોને ભેટ આપી છે.
દિલ્લીની આપ સરકારમાં ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ દિલ્લીના અકુશળ, અર્ધકુશળ અને અન્ય શ્રમિકોનુ મોંઘવારી ભથ્થુ વધારવાનો આદેશ જાહેર કરીને દિવાળી પહેલા શ્રમિકોને ભેટ આપી છે. આ માહિતી આપીની સિસોદિયાએ જણાવ્યુ કે દિલ્લીમાં મજૂરોને મળતુ લઘુત્તમ વેતન દેશના અન્ય કોઈ પણ રાજ્યની સરખામણીમાં સૌથી વધુ છે. દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ બધા શ્રમિકો અને કર્મચારીઓને વધેલા દર સાથે ચૂકવણી સુનિશ્ચિત કરવાના પણ નિર્દેશ આપ્યા છે. નવા દરો ઓક્ટોબરથી લાગુ થશે.
મનીષ સિસોદિયાએ શ્રમિકોના લઘુત્તમ વેતનમાં વધારો કરવાની માહિતી આપીને વધુમાં કહ્યુ કે મોંઘવારીની માર સહન કરી રહેલ શ્રમિક વર્ગને લઘુત્તમ મજૂરી વધવાથી રાહત મળશે. આ દરમિયાન ઉપ મુખ્યમંત્રીએ જણાવ્યુ કે વધારા પછી અકુશળ શ્રમિકોનુ માસિક વેતન 16,506થી વધીને 16,792 થઈ ગયુ છે. અર્ધ કુશળ કામદારોનો માસિક પગાર પણ 18,187 રૂપિયાથી વધીને 18,499 રૂપિયા અને કુશળ કામદારોનો માસિક પગાર પણ 20,019 રૂપિયાથી વધીને 20,357 રૂપિયા થઈ ગયો છે. આ દરમિયાન ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ કે વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને ગરીબો અને મજૂર વર્ગના હિતોને માટે આ મોટુ પગલું લેવામાં આવ્યુ છે. કારકુન અને સુપરવાઈઝર વર્ગના કર્મચારીઓને પણ આનો લાભ મળશે.
ઉપ મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યુ કે અસંગઠિત ક્ષેત્રના આવા કામદારો કે જેમને સામાન્ય રીતે માત્ર લઘુત્તમ વેતન મળે છે તેમના માટે મોંઘવારી ભથ્થુ બંધ કરી શકાય નહિ તેથી દિલ્લી સરકારે મોંઘવારી ભથ્થુ ઉમેરીને નવા લઘુત્તમ વેતનની જાહેરાત કરી છે. તેમણે કહ્યુ કે સુપરવાઈઝર અને કારકુન કર્મચારીઓના લઘુત્તમ વેતનના દરમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં નૉન-મેટ્રિક્યુલેટેડ કર્મચારીઓનો માસિક પગાર રૂ. 18,187થી વધારીને રૂ.18,499, મેટ્રિક પરંતુ નૉન-ગ્રેજ્યુએટ કર્મચારીઓ માટે રૂ. 20,019થી વધારીને રૂ. 20,357 અને સ્નાતક અને તેથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા કર્મચારીઓનો માસિક પગાર રૂ. 21,756થી વધારીને રૂ. 22,146 કરવામાં આવ્યો છે.
ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં મજૂરોના હિતને ધ્યાનમાં રાખીને અમે તેમના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યુ કે છેલ્લા બે વર્ષમાં કોરોનાને કારણે સમાજનો દરેક વર્ગ આર્થિક રીતે પણ પ્રભાવિત થયો છે. ઉપરથી રોજીંદા વપરાશની ચીજવસ્તુઓના સતત વધી રહેલા ભાવોને કારણે લોકોની કમર ભાંગી પડી છે. આવી સ્થિતિમાં મને આશા છે કે આ વધારાથી મજૂર ભાઈઓને મદદ મળશે.