કોંગ્રેસ પાસે હાલમાં બે જ કામ છે, 'સોનું શોધો અને મોદીને શોધો...'
રાયગઢ, 15 નવેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢના રાયગઢમાં પબ્લિક રેલીને સંબોધી રહ્યા છે. નરેન્દ્ર મોદીની આ રેલી અત્રેના એક સ્ટેડિયમમાં રાખવામાં આવેલી છે. આખુ સ્ટેડિયમ મોદીને સાંભળવા ખીચોખીચ ભરેલું છે. મોદી જેવા બોલવા માટે મંચ પર આવ્યા કે લોકોએ મોદીના નામના નારા બોલાવીને તેમનું સ્વાગત કર્યું હતું.
નરેન્દ્ર મોદીનું નિવેદન:
મિત્રો આપ આવા ધોમધખતા તાપમાં તપી રહ્યા છો, છતાં આપનો પ્રેમ ભાજપ પ્રત્યે વધતો જઇ રહ્યો છે. મિત્રો આનું વળતર તમને વિકાસના રૂપમાં રમણસિંહના નેતૃત્વમાં ચોક્કસ મળશે. હાલમાં આખા છત્તીસગઢમાં ભાજપની આંધી ચાલી રહી છે અને તેમાં કોંગ્રેસનું બચવું મુશ્કેલ છે.
આખી દિલ્હીની સરકાર દિવસ રાત ટીવી સામે બેસી રહે છે, મોબાઇલમાં મેસેજ જોતી રહે છે કે મોદી ક્યાં છે? મોદી શું કરે છે? મોદી શું બોલે છે? હજારો લોકોને મારા એક એક શબ્દોનું રિસર્ચ કરવા માટે રાખ્યા છે. મારા કોંગ્રેસના મિત્રો ટીવીના પરદા પર આપ મોદીને ગમે તેટલી ગાળો ભાંડો પરંતુ જનતા દિલોમાં જે કમળ ખીલ્યું છે તેને આપ ક્યારેય મૂર્જાવી શકશો નહીં. મારા કોંગ્રેસના મિત્રો એ સાંભળી લો કે તમે જેટલું વધારે કિચડ ઉછાળશો તેટલું વધારે કમળ ખિલશે. કમળનો સ્વભાવ છે કે કિચડમાં ખીલવું. કિચડ આપનું અને કમળ અમારું.
કોંગ્રેસની સરકારે છત્તીસગઢ માટે શું કર્યું એનો જવાબ આપવો જોઇએ, નક્સલવાદ વધી રહ્યો છે તેનો જવાબ તેમણે આપવો જોઇએ. સરહદ પર અવારનવાર પાકિસ્તાન ફાયરિંગ કરી રહ્યું છે, નિર્દોષ માણસો મોતનેઘાટ ઉતરી રહ્યા છે તેનો જવાબ આપવો જોઇએ. ચીનની ઘુસણખોરી થઇ રહી છે અને તેમનો એક મંત્રી બેઇજીંગમાં જઇને એવું કહે છે કે તેમને ત્યાં વસી જવાનું મન થાય છે.
આ કોંગ્રેસ સરકારને શું થઇ ગયું છે? ગમે તેવું નિવેદન આપી દેશે. કોંગ્રેસના મિત્રો આ મીડિયાની મહેરબાનીથી આપ બચેલા છો, જે હિસાબે મીડિયા મારી વાતો કરે છે એ જ તુલનાએ તમારી વાત મીડિયા કરતું તો આજે તમે દેશમાં કોઇને મો બતાવવા લાયક ના રહેતા. આતંકવાદ સામે લડવાની જવાબદારી કોની છે? વાજપેઇ સરકારે કોટાનો કાયદો બનાવ્યો હતો. અને કોંગ્રેસની સરકારે તે કાયદાને રદ કરી નાખ્યો. તમારી એ કહેવાની હિમ્મત કેવી રીતે થાય કે રમણસિંહની સરકારમાં નક્સલવાદ વધી રહ્યો છે. વાહ ક્યાં સીન હૈ! પાપ તમે કરો અને ઇલ્ઝામ અમારી પર લગાવો.
ભારતનો કૃષિ વિકાસ દર 2..3..4 ટકાથી આગળ પાછળ થઇ રહ્યો છે. ભારતના ખેડૂતોની સ્થિતિ સુધરી નથી રહી. તેમણે જે લક્ષ્ય નક્કી કર્યું હતું ત્યા દસ વર્ષોમાં પણ પહોંચી શક્યા નથી. મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ રાજ્ય જ્યારે એક હતું ત્યારે તે બિમારુ રાજ્ય હતું, પરંતુ ભાજપની સરકારે બંને રાજ્યોને બિમારીમાંથી મૂક્તિ આપી દીધી છે. હવે ભારત સરકાર, કોંગ્રેસ કે મીડિયા પણ આ રાજ્યોને બિમારૂ રાજ્ય કહેતું નથી. મેડમ સોનિયા તમે આ રાજ્યને બિમારુ રાજ્ય કહો છો. જરા હોમવર્ક કરીને આવો. તમે રમણસિંહની ઓફિસમાં ફેક્સ કરજો હું તેમને વિનંતી કરીશ કે તેઓ તમને તમામ માહિતી પહેલાથી આપી દે. અરે ગમે તે શું બોલો છો, દેશની ગરીમાનો સવાલ છે.

હમણાં એક કોંગ્રેસી નેતાએ એવું કહ્યું કે છત્તીસગઢની સરકાર પુરસ્કાર ખરીદીને લે છે, હું એમ કહું છું કે પહેલા રૂપિયા લઇને પુરસ્કાર આપનારનું નામ બતાવો પછી રૂપિયા આપનારનું જોયું જશે. વડાપ્રધાને પુરસ્કાર આપ્યો તો કોણે રૂપિયા લીધા જરા જણાવો. શું બોલો છો યાર! કઇ વિચાર તો કરો બોલતા. કોંગ્રેસને હાલમાં બીજું કોઇ કામ નથી બસ બે જ કામ છે સોનું શોધો અને મોદીને શોધો... આ ડાયલોગ મારીને નરેન્દ્ર મોદી અટ્ટહાસ્ય કરીને ફરી બોલ્યા સોનું શોધવા નીકળી પડ્યાતા...












Click it and Unblock the Notifications
