મોદીની લોકપ્રિયતા પર કોઇ શંકા નથી, પણ...'
નવી દિલ્હી, 12 માર્ચઃ ભારતીય જનતા પાર્ટીને અત્યારના સમયે પાર્ટીની અંદરના જ વિખવાદોના કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકસભા ચૂંટણી નજીક છે, પરંતુ હજુ પણ પાર્ટી કોઇ યોગ્ય ઉમેદવારની પસંદગી કરી શકી નથી. પાર્ટી નિર્ણય નથી કરી શકી કે મિશન 2014ની કમાન કોના હાથમાં સોંપવામાં આવે. પાર્ટીમાં અટકળોનો દોર યથાવત છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે સોમવારે કહ્યું કે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો ઇન્કાર કરી શકાય નહીં.
પરંતુ પાર્ટીને હજુ નિર્ણય કરવાનો છે કે શું ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદના આગામી ઉમેદવાર હશે. રાજનાથ સિંહે પત્રકારો દ્વારા મોદીને આ લોકસભા ચૂંટણીમાં ભાજપનો ચહેરો હોવા અંગેનો પ્રશ્ન પૂછ્યો, જેના જવાબમાં તેમણે કહ્યું કે નિર્ણય પાર્ટીની કેન્દ્રીય સંસદીય સમિતિ કરશે, પરંતુ કોઇ મોદીની લોકપ્રિયતાનો ઇન્કાર કરી શકે નહીં. સિંહે અડવાણીનું ભાજપની કોર સમિતિના નિર્ણાયક સભ્ય તરીકે ભૂમિકા પૂર્ણ થવા અંગેની અફવાઓનું ખંડન કર્યું.