મોદી જણાવે કે અંબાણી સાથે તેમનો શું સંબધ છે: કેજરીવાલ
નવી દિલ્હી, 16 ફેબ્રુઆરી: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા જણાવ્યું કે ગેસના વધેલા ભાવ પર તેઓ પોતાની ચુપ્પી તોડે. કેજરીવાલે માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર પર લખ્યું છે કે મોદીએ ગેસના વધેલા ભાવ પર પોતાની ચુપ્પી તોડવી જોઇએ.
કેજરીવાલે આગળ જણાવ્યું છે કે તેમણે એટલે કે મોદીએ એ પણ ખુલાશો કરવો જોઇએ કે મુકેશ અંબાણી અને અદાણી સાથે તેમનો અને તેમની પાર્ટીનો શું સંબંધ છે. કેજરીવાલે આ બધા સવાલો ટ્વિટર પર કર્યા છે. જોકે કેજરીવાલ આ પહેલા એક ટીવી ચેનલને આપેલા ઇન્ટર્વ્યૂમાં પણ મોદી અને કોંગ્રેસ પર પ્રહારો કરી ચૂક્યા છે.
કેજરીવાલે ટ્વિટર પર લખ્યું છે કે શું 2014ની સામાન્ય ચૂંટણી આમ આદમી પાર્ટી અને મુકેશ અંબાણીના બે એજન્ટ રાહુલ અને મોદીની વચ્ચે લડવામાં આવશે? જોકે કેજરીવાલે તો પોતાના એક ઇન્ટર્વ્યૂમાં દેશની તમામ નાનીમોટી પાર્ટીઓને ભ્રષ્ટ ગણાવી દીધી હતી.