મોદીના સમર્થનમાં અડવાણીના ઘરની બહાર પ્રદર્શન
મળતી માહિતી અને સમાચાર ચેનલોમાં વહેતા થયેલા સમાચારો અનુસાર નવી દિલ્હીમાં હિન્દુ સેનાના મોટી સંખ્યામાં કાર્યકરો એકઠાં થયા છે અને તેઓ નરેન્દ્ર મોદીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી રહ્યાં છે, એટલું જ નહીં પરંતુ દેશને એક હિન્દુત્વવાદી નેતાની જરૂર છે અને તેવા સમયમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સામે ચાલીને નરેન્દ્ર મોદીને આગળ વધવા માટે આશિર્વાદ આપે તેવી માંગ પણ કરી રહ્યાં છે.
આ બધાની વચ્ચે વિરોધ પ્રદર્શન કરી રહેલા એક કાર્યકર્તાએ કહ્યું કે, અમે અહી કોઇપણ પ્રકારનું હિંસક પ્રદર્શન કરવા આવ્યા નથી, અમે માત્ર અમારી વાત અડવાણી સુધી પહોંચાડવા અને તેમને મળીને આ ગુલદસ્તો આપવા આવ્યા છીએ. અમે ઇચ્છીએ છીએ કે મોદીને આગળ વધવા દેવા માટે અડવાણી માર્ગ મોકળો કરે.
આ તકે ભાજપ પ્રવક્તા શાહનવાઝ હુસૈને જણાવ્યું છે કે લાલકૃષ્ણ અડવાણીના ઘરની બહાર જે લોકો પ્રદર્શન કરી રહ્યાં છે તેમની સાથે પક્ષને કંઇ લેવા દેવા નથી, તેઓ પક્ષના કાર્યકર્તા નથી. પક્ષ અને પક્ષના કાર્યકર્તાઓ અડવાણીજીની સાથે છે.
નોંધનીય છે કે, મધ્યપ્રદેશમાં અડવાણી દ્વારા કરવામાં આવેલા તુલનાત્મક નિવેદન બાદ મોદી અને અડવાણી વચ્ચે અણબનાવ બન્યો હોવાના અહેવાલ સમાચારમાં આવ્યા હતા, ત્યારબાદ સાત જૂન અને હવે આજે ગોવામાં ભાજપની રાષ્ટ્રિય કાર્યકારિણીની બેઠકમાં નહીં જવા માટે માંદગીનું કારણ આગળ કર્યું છે અને એવું પણ જણાવવામાં આવી રહ્યુ છે કે નવમી તારીખે રવિવારે પણ તેઓ ગોવા જવાના નથી.