હજારીબાગ, 15 એપ્રિલ: ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે તેમને વડાપ્રધાન મનમોહન સિંહને નિશાનો બનાવીને તેમના પર પ્રહાર કરવા પર ખેદ છે, પરંતુ તેમણે આ દરમિયાન કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાનો ચોક્કસ સાધ્યો છે. હજારીબાગમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે તેમણે મનમોહન સિંહ પર પ્રહાર કર્યા હતા તેનો તેમને ખેદ છે, કારણ કે કુશાસનનો આરોપ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર લગાવવો જોઇએ.
તેમણે જણાવ્યું કે મેં ક્યારેક-ક્યારેક મનમોહન સિંહની વિરુદ્ધ કડક શબ્દોનો ઉપયોગ કર્યો છે, પરંતુ હાલમાં જ કેટલાંક પુસ્તકોના પ્રકાશન બાદ મને લાગ્યું કે મારે મનમોહન સિંહને નિશાનો બનાવવા જોઇતા ન્હોતા કારણ કે જે બધુ કર્યું છે કે તે તો મા અને બેટાએ કર્યું છે. મોદીએ સોનિયા ગાંધી પર પ્રહાર કરતા જણાવ્યું કે ક્યારેક ક્યારેક બેટી અને જમાઇ પણ જવાબદાર હતા, અને બધુ જ માના નેતૃત્વમાં જ થયું છે.
ગુજરાતના મુખ્યમંત્રીએ જણાવ્યું કે મને લાગ્યું કે આ ચૂંટણી ગંભીર મુદ્દાઓ પર લડવામાં આવશે, એક તરફ એલકે અડવાણી, સુષમા સ્વરાજ, મુરલી મનોહર જોશી જેવા નેતાઓ છે અને બીજી તરફ ખેલાડી છે જે બાળકોની જેમ વ્યવહાર કરી રહ્યા છે. 10 દિવસથી ફુગ્ગો તેમના જીભ પર છે. હવે તેઓ ચોકલેટની વાત કરી રહ્યા છે. મોદી હજારીબાગથી ભાજપના ઉમેદવાર અને યશવંત સિન્હાના પુત્ર જયંત સિન્હાના પ્રચાર માટે આ રેલી કરી રહ્યા હતા.