મોદી લહેર ખતમ, હવે પુરા દેશમાં અમારી લહેર - સંજય રાઉત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપીને કર્ણાટકમાં ખરાબ રીતે હરાવ્યા બાદ હવે વિપક્ષી પાર્ટીઓમાં ઉત્સાહનો માહોલ છે. કર્ણાટક ચૂંટણીમાં 2024 ની લોકસભા પહેલા બીજેપીની હાર ઘણી રીતે મહત્વની છે. હવે સંજય રાઉતે આ હારને નરેન્દ્ર મોદી લહેરનો અંત ગણાવ્યો છે.
કર્ણાટકમાં બીજેપીની હાર બાદ તમામ વિપક્ષી નેતાઓ બીજેપી પર આકરા પ્રહારો કરી રહ્યા છે. મોટા નેતાઓ આ હારને બીજેપીના ખરાબ દિવસોની શરૂઆત કહી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતા સંજય રાઉતે બીજેપી અને વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા છે અને મોદી લહેરનો અંત થયો હોવાનું જણાવ્યુ છે.

બીજેપી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આડે હાથ લેતા સંજય રાઉતે કહ્યું કે, મોદી લહેર ખતમ થઈ ગઈ છે અને હવે અમારી લહેર આખા દેશમાં આવી રહી છે. 2024ની લોકસભા ચૂંટણી માટે અમારી તૈયારી શરૂ થઈ ગઈ છે અને આજે શરદ પવારની અધ્યક્ષતામાં એક બેઠક બોલાવાઈ છે. આ બેઠકમાં 2024ની ચૂંટણી વિશે ચર્ચા કરીશું અને તેની તૈયારી શરૂ કરીશું.
એક ટ્વિટ કરતા સંજય રાઉનતે બજરંગબલીના ફોટો પર 130+ લખીને બીજેપી પર કટાક્ષ કર્યો. ફોટોમાં તેમણે બીજી તરફ બીજેપીએ જીતેલી સીટોની સંખ્યા લખી. આ ટ્વિટ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યું છે અને લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.
અહીં તમને જણાવી દઈએ કે, કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે અને કોંગ્રેસને બહુમતી કરતા વધુ સીટો મળી છે. અહીં કોંગ્રેસે 136 સીટો જીતી છે. બીજી તરફ બીજેપીને માત્ર 65 અને જેડીએસ 19 સીટો સાથે ત્રીજા સ્થાને રહી છે. આજે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક યોજાશે. બેઠકમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર અંગે ચર્ચા થશે.












Click it and Unblock the Notifications
