મુંબઇ ગેંગરેપનો ચોથો આરોપી જેલમાંથી ગાયબ
મુંબઇ, 26 સપ્ટેમ્બર: 23 વર્ષની ફોટો જર્નાલિસ્ટ સાથે મુંબઇની શક્તિમીલ વિસ્તારમાં ગેંગરેપ ગુજારનાર આરોપીઓમાંથી એક આરોપી ગાયબ થઇ ગયો છે. ઠાણે જેલમાં બંધ ગેંગરેપનો આરોપી શિરાજ-ઉલ-રહમાન જેલમાંથી ફરાર થઇ ગયો છે. આ કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ચારેય આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ તેમને થાણે જેલમાં કેદ કર્યા હતા. મુંબઇ ગેંગરેપનો ચોથો આરોપી શિરાજ-ઉલ-રહમાન ગુમ થતાં મામલો ગરમાઇ ગયો હતો.
આજે સુનાવણી દરમિયાન ટ્રાયલ કોર્ટમાં ચારમાંથી ફક્ત ત્રણ આરોપી હાજર થયા હતા. સરકારી વકીલ ઉજ્જવલ નિકમે કોર્ટને જણાવ્યું હતું કે તેમની જાણકારી અનુસાર ચોથો આરોપી થાણે જેલમાં છે, પરંતુ જેલ તંત્રએ ચોથા આરોપીને ક્રાઇમ બ્રાંચ પાસે હોવાની વાત કહી હતી, ત્યારબાદ આ મુદ્દે જેલતંત્ર અને ક્રાઇમ બ્રાંચ વચ્ચે ચર્ચા શરૂ થઇ ગઇ હતી.
આવું બીજીવાર બન્યું હતું જ્યારે આરોપીને કોર્ટમાં હાજર કરવાનો હોય અને આરોપી કોર્ટમાં ના પહોંચ્યો હોય. કોર્ટના સખત આદેશ બાદ ક્રાઇમ બ્રાંચ અને થાણે જેલતંત્ર આ કેસનું કોકડું ઉકેલવાના બદલે એકબીજા પર આરોપ લગાવવામાં લાગ્યાં છે. થાણે જેલ તંત્ર અને ક્રાઇમ બ્રાંચના આ કેસમાં હાથ ઉંચા કરી દેતાં એકબીજા પર આરોપ લગાવવાના શરૂ કરી દિધા છે.
કસ્ટડીમાં કેદ ગેંગરેપના આરોપી શિરાજ-ઉલ-રહમાન જેલમાંથી ગાયબ થતાં જેલતંત્રએ દલીલ આપી હતી કે તે ક્રાઇમ બ્રાંચની કસ્ટડીમાં જ્યારે ક્રાઇમ બ્રાંચે પોતાને કેસથી અલગ ગણાવતાં કહ્યું હતું કે ચારેય આરોપી ન્યાયિક કસ્ટડી હેઠળ થાણે જેલમાં બંધ છે. એવામાં ક્રાઇમ બ્રાંચ અને જેલતંત્ર વચ્ચેની લડાઇમાં આરોપી ફરાર થઇ ગયો છે. ખાસ વાત એ છે કે મુંબઇની શક્તિ મીલ ગેંગરેપનો એક મોટો અને સંવેદનશીલ મુદ્દો છે, પરંતુ વહિવટીતંત્રની ઢીલા વલણને જોતાં લાગે છે કે વહિવટી અધિકરી આ મુદ્દાને ગંભીરતા લઇ રહ્યાં નથી.