મારા કાર્યક્રમોને અટકાવવાનું રચાઇ રહ્યું છે ષડયંત્રઃ મોદી
રેવા, 1 એપ્રિલઃ ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશ બાદ મધ્ય પ્રદેશમાં ચૂંટણી સભા ગજવી રહ્યાં છે. મધ્ય પ્રદેશના રેવા ખાતે તેઓ સભામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરી હતી. જ્યાં તેમણે કહ્યું કે મારા હેલિકોપ્ટરને ડીલે કરીને મારા કાર્યક્રમોમાં રોડા નાખવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. મોદીનું હેલિકોપ્ટર ઉડે કે ના ઉડે, તમે સત્તા પરથી ઉડી જવાના છો.
મોદીએ કહ્યું કે, આજે દિલ્હીમાં મારા હેલિકોપ્ટરને એટીસી દ્વારા બે વાર રોકવામાં આવ્યું. જેના કારણે હું 3-3 કલાક મોડો પડી રહ્યો છું. મે દિલ્હી એરપોર્ટ પર એક કલાક રાહ જોઇ અને બરેલી એરપોર્ટ પર પણ મે એક કલાક રાહ જોઇ છે. મારા કાર્યક્રમોમાં રોડા નાખવાનું ષડયંત્ર રચાઇ રહ્યું છે. હું ચૂંટણી પંચને આગ્રહ કરું કે તેઓ તપાસ કરે કે શા માટે મારા કાર્યક્રમોમાં મોડું થાય તેવું કરવામાં આવી રહ્યું છે. કોણ મારા હેલિકોપ્ટર્સને કલાકો સુધી ડીલે કરી રહ્યાં છે. જે લોકો આ કરી રહ્યાં છે તે સાંભળી લે કે મોદીનું હેલિકોપ્ટર ઉડે કે ના ઉડે, તમે સત્તા પરથી ઉડી જવાના છો. .
મોદીએ વધુંમાં કહ્યું કે જો તમે એ વાતથી ડરો છે કે મોદી જાહેરમાં બધુ બોલે છે, તમે મોદીને ગમે ત્યાં પ્રવાસ કરવા દેવા નથી માગતા તો એ વાત અંગે જાહેરમાં બોલો. હું અહીં ઉપસ્થિત જનમેદનીની માફી માગું છું. કમળને મત આપીને દિલ્હીની સરકારને મજબૂત જવાબ આપો. કોંગ્રેસ અને તેના સાથી પક્ષોમાંથી કોઇપણ દિલ્હીમાં ના પહોંચે. ભારતના ભવિષ્યને નક્કી કરવા માટે દિલ્હીમાં એક સ્થિર અને મજબૂત સરકારની જરૂર છે.
તેમણે 10 વર્ષણાં શુ આપ્યું છે, શું આપણે આગળનો સમય પણ આ રીતે પસાર કરવા માગીએ છીએ. ના, આપણે એવી સારી સરકાર જોઇએ છે, જે કામ કરે. જાતિવાદ, જ્ઞાતિવાદથી પર થઇને વિકાસ માટે મતદાન કરો. મારે મધ્ય પ્રદેશની જનતાને ભાજપ સરકારના સારા કામ અંગે કહેવાની જરૂર નથી. મધ્ય પ્રદેશમાં તેમણે ભાજપના કામને જોયું છે.
બરેલીમાં મોદીએ સમાજવાદી પાર્ટી પર અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, મને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવામાં આવ્યો ત્યારે કોંગ્રેસ ખુશ થઇ હતી અને એવું વિચારતા હતા કે મોદીને પાડી દઇશું, પરંતુ જુઓ આજે શું સ્થિતિ છે. સ્થિર સરકાર અને પ્રગતિ કરનારી સરકાર માટે 300 કરતા વધારે એનડીએના સાંસદોને મોકલો. યુપી સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, અમે જ્યારે તેમને સિંહ મોકલ્યા તો તેઓ સિંહને સાચવી શક્યા નહીં. હું નેતાજીને આમંત્રિત કરું છું કે તેઓ ગુજરાત આવે અને ગીરને જુએ અમારે ત્યાં સિંહને પિંજરામાં રખાતા નથી, તે સ્વતંત્ર રીતે ગમે ત્યાં હરી ફરી શકે છે.












Click it and Unblock the Notifications
