બિશ્વનાથ ચારિયાલી, 31 માર્ચઃ ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે આસામમાં હતા અને તેમણે આસામના બિશ્વનાથ ચારિયાલી ખાતે ચૂંટણી સભા સંબોધી હતી. જેમાં તેમણે સોનિયા ગાંધી પર સીધા પ્રહાર કર્યાં હતા અને કહ્યું હતું કે ઇટાલિયન મરિન્સને ઇટલી જવાની મંજૂરી કોણે આપી હતી અને તેઓ હાલ કઇ જેલમાં છે તે જણાવો, આ સાથે જ તેમણે કહ્યું કે, મે જે પ્રશ્નો કર્યા છે તેનાથી કોંગ્રેસ લાલધૂમ થઇ ગઇ હશે અને તે દેશભરમાં મારા પૂતળા સળગાવશે.
મેં સાંભળ્યું કે, આસામના અમુક વિસ્તારોમાં લોકો માર્યા ગયા છે, શું તમારા મુખ્યમંત્રી, અન્ય મંત્રી કે પછી કોંગ્રેસના નેતા ત્યાં ગયા છે ખરા. કોંગ્રેસના નેતાઓ હંમેશા સોનિયા ગાંધીને મળવા જાય છે, પરંતુ તેમની પાસે લોકોને મળવાનો સમય નથી. અમારા નેતાઓ લોકોના આસું લુછવા માટે જાય છે. કોંગ્રેસ માટે લોકોની જિંદગી અને મોત મહત્વ ધરાવતા નથી. તેમની માટે કંઇ વાત સૌથી વધું મહત્વ ધરાવે છે, તે બધા જાણે છે.
જે તમને ભુલી જવા માગે છે, તેમને તમે શા માટે યાદ રાખવા માગે છે. જે તમને ભુલી ગયા છે, તેમને તમે ક્યાં સુધી યાદ રાખશો. આ 2014ની ચૂંટણી દિલ્હીમાં કોની સરકાર બને, કોણ જીતે એ માટે નથી, આ વખતે જનતા જનાર્દનનો મિજાજ દિલ્હીની સરકાર હટાવવાનો જ નહીં પરંતુ એ સરકારના લોકોને સજા કરવાના મૂડમાં છે. જનતા કોંગ્રેસને સજા કરવાના મૂડમાં હિન્દુસ્તાનના ઇતિહાસમાં આઝાદી પછી આટલા વર્ષો ગયા તેમાં આ દશકા જેવો એક પણ દશકો ગયો નથી. આ દશકા જેટલું ભ્રષ્ટાચાર, કુશાસન આપણે ક્યાંય જોયું નથી.
જે સરકારમાં પાણી નથી, તેને સહન કરવાની જરૂર નથી
અમારે એક બાજુ રણ અને બીજી બાજુ પાકિસ્તાન છે. અમારે ત્યાં વરસાદ ઓછો થાય છે, આસામમાં આટલો વરસાદ થતો હોય, આટલી નદી હોય, પાણી સતત મળતું હોય, તે આસામમાં ખેડૂતને પાણી ના મળે, લોકોને પીવાનું પાણી ના મળે, આ કેવી સરકાર પાણી હોવા છતાં પાણી નથી પહોંચાડી શકતી. જે સરકારમાં પાણી નથી, તેને સહન કરવાની જરૂર નથી.
જનતાની આંખમાં ધૂળ ફેંકી રહ્યાં છે
અમે મોટા મોટા વચન નથી આપતા અમે એ જ કહીંએ છીએ જે અમે કરીએ છીએ. તેમણે કહ્યું કે, અમે 2009માં જે કહ્યું હતું તે પૂર્ણ કરી દીધું છે, મેડમની વાત પર તમને વિશ્વાસ છે ખરા. તેમણે જે વચનો કર્યા હતા તે નિભાવ્યા નથી. મેડમ સોનિયા તમે હિન્દુસ્તાનના લોકોને શું સમજો છો, હું મેડમને પૂછવા માગું છું, તમે કહો છો કે તમે જે વચન આપ્યા હતા તે પૂરા કર્યા છે, 2009માં કોંગ્રેસે કહ્યું હતું કે મોંઘવારી ખતમ કરશે, પરંતુ મોંઘવારી વધી છે, આ વખતે પણ તેમણે મોંઘવારી ખતમ કરવાનું કહ્યું છે. પાંચ વર્ષ ગરીબના ઘરમાં ચૂલો નથી સળગ્યો, મોંઘવારીના કારણે માતા બહેનોનું જીવવું મુશ્કેલ બની રહ્યું છે. તે જનતાની આંખમાં ધૂળ ફેંકી રહ્યાં છે.
કોંગ્રેસ જનતાને જવાબ આપવા તૈયાર નથી
ચૂંટણીની અંદર જે સરકારમાં બેઠાં છે, તેમણે પોતાના કામનો હિસાબ આપવાની જરૂર છે, 10 વર્ષમાં શું કર્યું, ક્યારે, કેમ અને કેવી રીતે કર્યું, તેનો હિસાબ આપવાની જરૂર છે, આ લોકો હિસાબ આપવા તૈયાર નથી. તેમનો અહંકાર સાતમાં આસમાને છે. તે જનતાને જવાબ આપવા તૈયાર નથી. તેમણે વચન આપ્યું હતું, તેમના 2009ના ઘોષણા પત્રમાં જે લખ્યું હતું કે 2014ના પોતાના ધોકાપત્રમાં લખ્યું છે કે 10 કરોડ યુવાનોને રોજગારી આપશે. મેડમ સોનિયા, અટલજીએ જેમની એનડીએની સરકાર છ વર્ષ ચાલી હતી, તેમણે સાડા છ કરોડ લોકોને રોજગારી આપી હતી. તમે 10 વર્ષથી છો તમે માત્ર સવા કરોડ લોકોને રોજગારી આપી છે.
અમારે મેડમના પ્રમાણપત્રની જરૂર નથી
મેડમ સોનિયાએ કહ્યું કે, કેટલાક લોકો દેશભક્તિ અંગે વાત કરી રહ્યાં છે. મેડમ સોનિયા તમે લોકોની દેશભક્તિ અંગે પ્રશ્ન ના કરો. અમારે તમારા પ્રમાણપત્રની જરૂર નથી. ઇટાલિયન મરિને આપણા માછીમારોની હત્યા કરી તેઓ જેલમાં હોવા જોઇએ પરંતુ ક્યાં છે તે તમે અમને જણાવો. એ કોણ લોકો હતા કે જેમણે આ ઇટલીના હત્યારાઓને ઇટલી જવા માટેની વ્યવસ્થા કરી હતી. કોણે તેમને એ તક આપી હતી. સુપ્રીમ કોર્ટે તેમા દખલગીરી કરી. ત્યારે એ મરિન પરત આવ્યા. તમે અમને જણાવો કે આ મરિન કઇ જેલમાં છે, તેઓ જેલમાં હોવા જોઇએ પરંતુ ક્યાં છે તે તમે અમને જણાવો.
કોંગ્રેસીઓ આખા દેશમાં મારા પૂતળા સળગાવશે
મને ખબર છે, આ પ્રશ્નો સાંભળીને કોંગ્રેસ પાર્ટી ઉછળી પડશે અને એ કોંગ્રેસના લોકો દેશભરમાં મોદીના પૂતળા સળગાવશે, ભલે સળગાવતા, પણ મારી એક વાત સાંભળી લો, ક્યારેય સવાસો કરોડ હિન્દુસ્તાનીઓની દેશભક્તિ સામે પ્રશ્નો ના કરતા, આ એ દેશવાસીઓ છે જેમણે એંગ્રજો સામે પણ માથું નહોતું ટેક્યું.
કોંગ્રેસવાળા કેમ ડરી રહ્યાં છે
બધી પાર્ટી એકઠી થાય છે સત્તાધીશ પક્ષને હટાવવાની રણનીતિ કરે છે, પરંતુ આ પહેલી ચૂંટણી છે, જેમાં સત્તાધીશ પાર્ટી અને તેમની સમર્થક પાર્ટીઓ એ રણનીતિ બનાવી રહ્યાં છે કે ગમે તે થાય મોદી આવવા ના જોઇએ. હું કોંગ્રેસવાળાને પૂછી રહ્યો છું કે તે કેમ ડરી રહ્યાં છે. તેમને ખબર છે કે 16 વર્ષ બાદ તેમની જગ્યા ક્યાં છે.
દેશના નવયુવાનો રોજગારી માટે તલસી રહ્યા છે
આ દેશના નવયુવાનો રોજગારી માટે તલસી રહ્યા છે, જો આ દેશના 70 કરોડ યુવાનોને રોજગારી આપવાનું આયોજન નહીં કરવામાં આવે તો દેશ બરબાદ થઇ જશે. સરકારનું દાયિત્વ હોવું જોઇએ કે યુવાનોને રોજગારી મળે અને સ્કીલ ડેવલોપમેન્ટ મળે અને તક મળવી જોઇએ. આઝાદીને 75 વર્ષ થવાના છે, આપણા દેશમાં 75 વર્ષના એક વિશેષ મહત્વ હોય છે.
ભારતની આઝાદીનું અમૃતપર્વ
ભારતની આઝાદીનું અમૃતપર્વ આવાનું છે, સેંકડો વીરો આઝાદી માટે ફાંસીના તખ્તે ચડ્યાં હતા, સરદાર પટેલ, મહાત્મા ગાંધીએ પોતાની જિંદગી જેલમાં કેમ વિતાવી હતી, આ આઝાદીના દિવાનાઓને, શહિદોને, જે લોકોએ કષ્ટ સહ્યાં તેમને યાદ કરીને સંકલ્પ કરવાનો છે કે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરે ત્યારે કેવું ભારત તેમના ચરણોમાં આપવું છે.
તમારા આશિર્વાદ લેવા આવ્યો છું
કેન્દ્રમાં ભાજપની સરકાર બનાવો અમે ભારતના દરેક લોકોને ઘર આપીશું અને તેમાં પ્રાથમિક સુવિધાઓ હશે. નજીકમાં શાળા અને હોસ્પિટલ હોય, દરેક ગરીબ પરિવારને આ સુવિધા મળે તે અમારો સંકલ્પ છે. મારા દેશનો ગરીબ વ્યક્તિ ફૂટપાથ પર જીવવા મજબૂર હોય તેવો દેશ મારે નથી જોવો, તેથી હું તમારા આશિર્વાદ લેવા આવ્યો છું.