ઇટાનગર, 31 માર્ચઃ ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ અરૂણાચલ પ્રદેશના ઇટાનગર ખાતે ચૂંટણી સભા સંબોધી હતી. જ્યાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતુંકે હાલ લોકસભાની ચૂંટણી છે, પરંતુ દિલ્હીની સરકાર પોતાના કામોનો હિસાબ આપી રહી નથી. તેઓ દેશને ચલાવી રહ્યાં હોવા છતાં આપણે પ્રશ્નો પૂછી રહ્યાં છે, આ લોકોને ઓળખવાની જરૂર છે. તેમણે સોનિયા ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, મેડમ સોનિયા અમને તમારા પ્રમાણપત્રની જરૂર નથી.
મોદીએ જનમેદનીને સંબોધિત કરતા કહ્યું કે, અત્યારે વડાપ્રધાનને પસંદ કરવાની ચૂંટણી છે, લોકસભાની ચૂંટણી છે, આ ચૂંટણીમાં દિલ્હીમાં બેસેલી સરકારે તેણે ચૂંટાયા બાદ દેશ માટે શું કર્યું તેનો હિસાબ આપવો જોઇએ, પરંતુ દિલ્હીની સરકાર દ્વારા કોઇ હિસાબ આપવામાં આવી રહ્યો નથી. કોંગ્રેસે ગરીબોના પૈસા કોણે છીનવી લીધે એ પ્રશ્નનો જવાબ આપવો જોઇએ, પરંતુ અંહકારમાં ડુબેલી કોંગ્રેસ કોઇ જવાબ આપતી નથી.
જવાબ આપવાની વાત છોડો. કોંગ્રેસ આપણને પ્રશ્નો પૂછી રહી છે. દેશને તેઓ ચલાવી રહ્યાં છે અને તેઓ જ આપણે પ્રશ્નો પૂછી રહ્યાં છે. લોકોએ કોંગ્રેસની આ ગેમને સમજવાની જરૂર છે. તમે અહીં પણ સત્તામાં છો. તમે એમએલએ ખરીદવાની ગેમ કરી રહ્યાં છો. તમારે જવાબ આપવો જોઇએ. આપણે સબજી મંડળી અંગે સાંભળ્યું હતું પરંતુ અહીં તો ધારાસભ્યોની મંડળી છે.
કોંગ્રેસની ગેમને સમજવાની જરૂર છે
કોંગ્રેસની આ ગેમ બંધ થવી જોઇએ, જો આ ગેમ ચાલું રહેશે તો અરૂણાચલના યુવાનોની સ્થિતિ ક્યારેય બદલાશે નહીં. આપણે કોંગ્રેસના આ પ્રકારના વલણથી દેશને મુક્ત કરાવવાની જરૂર છે. ગાંધીજીએ પણ કહ્યું હતું કે કોંગ્રેસને વિખેરી દેવામાં આવી જોઇએ, પરંતુ કોંગ્રેસને બાપુમાં વિશ્વાસ નથી. આપણે બાપુના આ સ્વપ્નને પૂર્ણ કરવાનું છે. કોંગ્રેસમાં જરા પણ શરમની લાગણી નથી. અહીંના એક યુવકની હત્યા કરી દેવામાં આવી હતી, મેડમ સોનિયા જ્યારે અહીં આવ્યા હતા ત્યારે તેઓ તેના પર એ શબ્દ પણ બોલ્યા હતા.
અમારે મેડમના પ્રમાણપત્રની જરૂર નથી
મેડમ સોનિયાએ કહ્યું કે, કેટલાક લોકો દેશભક્તિ અંગે વાત કરી રહ્યાં છે. મેડમ સોનિયા તમે લોકોની દેશભક્તિ અંગે પ્રશ્ન ના કરો. અમારે તમારા પ્રમાણપત્રની જરૂર નથી. જ્યારે ઇટાલિયન મરિને આપણા માછીમારોની હત્યા કરી ત્યારે દિલ્હીમાં કોણે એ લોકોને દિલ્હી છોડવાની મંજૂરી આપી હતી. કોણે તેમને એ તક આપી હતી. સુપ્રીમ કોર્ટે તેમા દખલગીરી કરી. જ્યારે મરિન્સ પરત નહોતા આવી રહ્યાં ત્યારે તેમણે પ્રશ્ન પણ નહોતો પૂછ્યો. તમે અમને જણાવો કે આ મરિન કઇ જેલમાં છે, તેઓ જેલમાં હોવા જોઇએ પરંતુ ક્યાં છે તે તમે અમને જણાવો.
કોંગ્રેસનું ઘોષણાપત્ર એક ધોકાપત્ર
મોદીએ કોંગ્રેસના ઘોષણા પત્ર અંગે કહ્યું કે, કોંગ્રેસનું ઘોષણાપત્ર એક ધોકાપત્ર છે. ભારતની જનતા બધુ જાણી ચુકી છે. તેમણે ઘોષણાપત્રમાં કહ્યું છે કે તેઓ નોજવાનોને રોજગારી આપશે, તેમણે આવું 2009માં પણ કહ્યું હતું, દિલ્હીમાં કોંગ્રેસની સરકાર બનશે તો દરેક પરિવારમાંથી નવયુવાનને રોજગારી આપશે, પરંતુ આપી નથી. આ દગો છે, વચન તોડ્યું છે. આ લોકોએ વચન તોડ્યું છે તમે તેની સાથે નાતો તોડી દો. કોંગ્રેસના પોકળ વચનમાં દેશને વિશ્વાસ નથી.
આ લોકોને ખુરશી સિવાય કંઇ દેખાતું નથી
આંધ્ર પ્રદેશમાં પ્રવાસન ક્ષેત્રે ઘણી તકો છે, પરંતુ આ લોકોને ખુરશી સિવાય કંઇ દેખાતું નથી. અરૂણાચલનો વિકાસ કરી શકાય છે. જો અહીંથી 200 મહિલા પોલીસ ગુજરાત આવત અને ત્યાં લોકો સાથે મેળાપ થાત તો ત્યાંના લોકો અરૂણાચલ આવત અને અહીંના પ્રવાસન ક્ષેત્રને ફાયદો થાત. મોદીએ કહ્યું કે તમે ભાજપને વિજયી બનાવો જે 60 વર્ષમાં નથી મળ્યું તે દેશને હું 60 મહિનામાં આપીશ. તમે 60 વર્ષ સુધી શાસક જોયા છે, હું શાસક બનવા માટે નહીં પરંતુ તમારે સેવક બનીને આવ્યો છું.