દેશમાં ગરીબી માટે એક પરિવાર જવાબદારઃ મોદી
વારાણસી, 20 ડિસેમ્બરઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમદેવાર નરેન્દ્ર મોદી દ્વારા ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે વિજય શંખનાદ રેલી યોજવામાં આવી રહી છે. આ તકે તેમની સાથે સ્ટેજ પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ, કલ્યાણ સિંહ સહિતના નેતા ઉપસ્થિત રહ્યાં છે.
આ તકે રેલીને સંબોધતા રાજનાથ સિંહ દ્વારા કોંગ્રેસ અને યુપીએ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. અહીં નરેન્દ્ર મોદીની લાઇવ રેલીનો વીડિયો અહીં રજૂ કરવામાં આવ્યો છે.
આ તકે નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હું સોમનાથની ધરતી પરથી આવ્યો છું અને બાબા વિશ્વનાથના આશિર્વાદ લેવા આવ્યો છું. આપણા દેશમાં ચૂંટણી આવતા પહેલાં ચૂંટણીનો આવો માહોલ બન્યો હોય તે ભારતીય લોકતંત્રની પહેલી ઘટના છે. રાજકીય દળો ચૂંટણી વખતે વધુ સક્રીય હોય, આરોપ પ્રત્યારોપ થાય, જનાધાર વધારવાના પ્રયાસ થાય એ તો થાય છે. પરંતુ પહેલીવાર ભારતના ખૂણે ખૂણામાંથી જનતા જનાર્દન દિલ્હીની સરકારને ઉખેડી ફેંખવા ઉતવાળી થઇ રહી છે, તેવું હું જોઇ રહ્યો છું, 2014ની ચૂંટણી કોઇ દળ, વ્યક્તિ કરવાનો નથી, પરંતુ 2014ની ચૂંટણી આ દેશની જનતા લડનારી, દરેક મતદાતા લડવાનો છે.
જ્યારે જ્યારે ભારતની ચર્ચા થશે, ત્યારે ત્યારે ગંગા માતાની ચર્ચા વગર હિન્દુસ્તાનની ચર્ચા અધૂરી હોય છે, અન્યો માટે ગંગા એક નદી હોઇ શકે છે, પરંતુ આપણા માટે ગંગા માત્ર નદી નથી, માતા છે. ગંગા આપણી સંસ્કૃતિની ધારા છે. આ ગંગાની સફાઇ માટે અનેક યોજના બની, બજેટ ખર્ચ કરવામાં આવ્યા, કમિટિ બનાવવામાં આવી, પરંતુ ખબર નથી પડતી કે ગંગાની અંદર આ રૂપિયા પણ વહી જાય છે કે શું? ગંગાનું શુદ્ધિકરણ છોડો, આ નાણા અને યોજનાઓથી તેમાં જે નિરંતર ઘટાડો થઇ રહ્યો છે, તેને તો રોકી શકત.
યુપીએ સરકારે ઉત્સાહ અને ઉમંગ સાથે ગંગા શુદ્ધિકરણ માટે એક યોજના બનાવી, પ્રચાર કરવામા આવ્યો, લોકોને લાગ્યું કે, હવે કંઇ થશે, વિશ્વાસ બેઠો અને તેમને સત્તા પર બેસાડ્યા પરંતુ કંઇ થયું નથી. પાંચ વર્ષમાં ત્રણ મીટિંગ કરવા સિવાય દિલ્હીની સરકારે કંઇ જ કર્યું નથી. દિલ્હીની સરકારને આગ્રહ કરું છું, જરા દેશની સામે બારિકીઓ સાથે દેશની જનતાને હિસાબ આપો. જવાબ આપો, રાજીવ ગાંધીના જમાનાથી, ગંગા નામ પર મત માગવામાં આવ્યા છે, ગંગા શુદ્ધિકરણના નામ પર દેશની સામે તમે પોતાની એક નવી ઓળખ બનાવવાના પ્રયાસ કર્યા છે, ગંગાના નામ પર હજારો કરોડો રૂપિયા દેશની તિજોરીમાંથી કાઢવામાં આવ્યા છે, દેશની જનતા જાણવા માગે છે, ગંગા શુદ્ધિ કરણ માટે શું કર્યું, ક્યારે અને કેવી રીતે કર્યુ અને કોની કોની માટે કર્યં તે જાણવા માગે છે.
આજકાલ લોકો મને પ્રશ્નો કરી રહ્યાં છે, કોંગ્રેસને બચવવાનું કામ કરી રહ્યાં છે, કોંગ્રેસના રક્ષકો પૂછે છે કે, મોદીજી એ તો બતાવો કે તમે શું કરશો? હું માત્ર કહેતો નથી, કરીને દેખાડું છું. જેમના મનમાં આ પ્રશ્ન છે, જે મને પૂછી રહ્યાં છે, તેમને મારી પ્રાર્થના છે કે, એક દિવસ નિકાળો ગુજરાત આવો, અમદાવાદની ધરતી આવો, સાબરમતીના કિનારા પર જઇને ઉભા રહો. દસ વર્ષ પહેલા સાબરમતી નંદી ગંદુ નાળુ બની ગઇ હતી, આજે જઇને જુઓ શહેરની વચ્ચોવચ શુદ્ધ નર્મદાના પાણીથી સાબરમતી ભરેલી છે અને વહી રહી છે.
તમને વિશ્વાસ છે ને, જો સાબરમતી શુદ્ધ થઇ શકે છે તો ગંગા શુદ્ધ શઇ શકે છે. જો સાબરમતી ગુજરાતનું ભાગ્ય બદલી શકે છે તો ગંગા દેશનું ભાગ્ય બદલી શકે છે કે નહીં. યુપીના ભાઇઓ હું વિશ્વાસ અપાવવા આવ્યો છું કે અમે વાયદા નહીં ઇરાદા લઇને આવ્યા છીએ, દેશ વાયદાઓથી કંટાળી ગયું છે, દેશને ધરતી પર સત્ય ઉતારવું છે, તેથી અમે કહીંએ છીએ કે અમે વાયદા નહીં ઇરાદા લઇને આવ્યા છીએ અને અમે ઇરાદા પૂરા કરવામાં માનીએ છીએ.
કેટલાક લોકો વિચારે છે કે હિન્દુસ્તાનના રાજકારણમાં ઉત્તર પ્રદેશનું મહત્વ વધારે છે, કારણ કે ઉત્તર પ્રદેશ વગર કોઇ દળની સરકાર બની નથી શકતી. આ વિચારસરણી ઉત્તર પ્રદેશનું અપમાન છે, શું ઉત્તર પ્રદેશનો ઉપયોગ, સાંસદના નંબર બનાવવા, સરકાર બનાવવા માટે છે, મારા વિચાર આટલા સિમિત નથી. પ્રશ્ન સરકારનો નથી, હિન્દુસ્તાનને પણ સ્થિરતા જોઇએ તો પણ ઉત્તર પ્રદેશ વગર નહીં મળી શકે, ભારતે વિકાસ કરવો છે તો ઉત્તર પ્રદેશના વિકાસ વગર શક્ય નથી. ઉત્તર પ્રદેશમાં બેરોજગારી ખત્મ કર્યા વગર ભારતમાંથી બેરોજગારીને નાબૂદ કરી શકાય તેમ નથી. યુપી ભારતનું પેટ નહીં ભરે તો હિન્દુસ્તાનનું પેટ ક્યારેય નહીં ભરાય. ઉત્તર પ્રદેશ ભારતનું ભાગ્ય વિધાતા બની શકે છે. સમૃદ્ધ ભારતની ધરહોર અને ભારતના શક્તિશાળી એન્જીનના રૂપમાં ઉભરી શકે છે. તેથી ભાજપ માટે ઉત્તર પ્રદેશ રાજકીય ખેલનું મેદાન નહીં, પરંતુ ભારતના વિકાસ માટેની ભૂમિ છે.
મને અહીના લોકાની શક્તિ પર વિશ્વાસ છે. આ ઉત્તર પ્રદેશના લોકોએ આ ભૂમિ પર રામ રાજ્ય બનાવવાનું કામ તમારા પુર્વજોએ કર્યું હતું. જો જનતા ઠીક ના હોત, લોકો સામર્થ્યવાન ના હોત તો આ ધરતી પર ક્યારેય રામ રાજ ના હોત. રામ રાજ્ય બનવા માટે જે પ્રકારની જનસામાન્યની શક્તિ, સંસ્કાર અને પરંપરા જોઇએ તે ઉત્તર પ્રદેશના લોકોમાં છે, તેમ છતાં મુશ્કેલી શા માટે છે, કારણ કે તમે યોગ્ય નેતા અને સરકાર પસંદ કરી નથી. જે દિવસે તમે યોગ્ય નેતા અને સરકાર ચૂંટશો ત્યારે તે આ રાષ્ટ્રને વિકાસની નવી દિશામાં લઇ જશે તેવો મને વિશ્વાસ છે.
દિલ્હીની સરકાર ખેડૂતોની ભાવના સમજી શકતા નથી, જેના કારણે ધાનના ભંડાર પાણીમાં સડી રહ્યા છે, ભારતની સુપ્રીમ કોર્ટ હુકમ કરે છે કે આ ધાનને ગરીબોમાં વેંચી દેવામાં આવે, પરંતુ ભારતની દિલ્હીની સરકાર સુપ્રીમના કહેવા પછી પણ ઇન્કાર કરી દે છે અને બાદમાં આ ધાનને દારૂ બનાવનારાઓને વેંચી દેવામાં આવે છે.
ચૂંટણી આવે છે ત્યારે આ માળા જપવા લાગે છે, કેટલાક વિદ્યાર્થીઓ પરિક્ષા સમયે પૂજા પાઠ કરવા લાગે છે, એક્ઝામિનેશન હોલમાં પણ ભગવાનનુ નામ લે છે, કોંગ્રેસ પાર્ટી પણ માળા ફેરવવા લાગે છે, ગરીબ...ગરીબ..ગરીબ અને મનમાં વિચારે છેકે એકવાર તેમના આશિર્વાદ મળી જાય એટલે નૈયા પાર થઇ જાય. તેમને ગરીબો પ્રત્યે થોડુક આદર હોત તો આઝાદી પછીના આટલા વર્ષ સુધી એક પરિવાર સરકાર રહ્યાં પછી પણ દેશની હાલત આવી ના થાત. દેશની ગરીબી માટે એક પરિવાર દોષિત છે.
અમારે ગરીબી શું છે તે જોવા જવું પડતું નથી અમે બાળપણ ગરીબીમાં કાઢ્યું છે. હું હેરાન છું કે ગરીબો પ્રત્યે તેમના દિલમાં નફરત કેટલી છે, યુપીએના એક નેતા કહે છે કે, ચા વેચનારો. શું ચા વેચીને મહેનત કરીને ગુજરાન ચલાવવું એ કલંક છે. હું હેરાન છું કે ગરીબીની વાત કરનારા ખુલ્લેઆમ બોલે છે કે, ચા વેચનારો દેશનો પ્રધાનમંત્રી બની શકે? જો દેશની જનતા આશિર્વાદ આપે તો મજૂરી કરનારો પણ પ્રધાનમંત્રી બની શકે છે. હું વિશ્વાસ સાથે કહું છું કે અમને ચા વેચવી મંજૂર છે, દેશ વેચવું મંજૂર નથી.
કોંગ્રેસના એક નેતા તો કહે છે કે, ગરીબી કંઇ નથી, આ તો સ્ટેટ ઓફ માઇન્ડ હોય છે. સાંજે ઘરમાં ચૂલો ના સળગે, બાળક રાત્રે રોવે ત્યારે ખબર પડે કે ગરીબી શું છે, તેમને શું ખબર કે ગરીબી શું છે. આ અહંકાર છે અને જે ગરીબોને ખિસ્સામાં રાખે છે, તે લોકો હશે ત્યાં સુધી ગરીબી દૂર નહીં થાય અને હું ગરીબોને કહી રહ્યો છું કે જ્યાં સુધી આ લોકોને હટાવવાની જરૂર છે. કોંગ્રેસ કહે છે કે અમે ચોર છીએ તો હા અમે ચોરી છીએ કારણ કે અમે કોંગ્રેસની ઉંઘ ચોરી લીધી છે. હવે અમે કોંગ્રેસને આઝાદી બાદ દેશને લૂંટનારાઓને ચેનથી બેસવા નહીં દઇએ એ ઉદ્દેશ્ય સાથે આવ્યા છીએ.
બે દિવસ પહેલા અહીંથી મને એક મુસ્લિમ સજ્જને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે હું નાની વસ્તીમાં રહુ છું, તેમણે પોતાની વેદના કહીં છે કે, તેઓ જ્યાં રહે છે ત્યાં પાવરલુમના કારણે રાત્રે ઘણો જ અવાજ આવે છે. બનારસની સાડી માત્ર સ્ત્રીની લાજ નહીં પરંતુ દેશની લાજ બચાવે છે.
સુરત અને કાશીનો એક નાતો છે. એવી કહેવત છે કે કાશીનું મરણ અને સુરતનું જમણ સારું. બન્ને સ્થળે પાવર લૂમનું મોટું કામ છે. એક જમાનો હતો, સુરતમાં સવારે કે સાંજે તમને પાવર લુમનો અવાજ વધારે સંભળાતો. દસ વર્ષની અંદર અમે અભિયાન ચલાવ્યું, આર્થિક મદદ કરી અને આખા પાવર લુમને ટેક્નોલોજીથી અપગ્રેડ કર્યો અને ગામ બહાર માહોલ ઉભો કર્યો. અવાજ ના કરે તેવા મશીન આવી ગયા છે, અમે સુરતમાં આ કરી શકતા હોય તો એ બનારસમાં પણ થઇ શકે છે, પરંતુ દેશની સરકારે એ દિશામાં વિચાર્યુ નથી, કારણ કે તેની નીતિ એવી છે.
રોજગારની વાત કરીએ તો જ્યારે પણ સરકારી નોકરીના વાત આવે ત્યારે ભલામણની જરૂર પડે છે. અમારે ગુજરાતમાં 13 હજાર લોકોની ભરતી કરવાની હતી અમે ઓનલાઇન અરજી મંગાવી અને કોમ્પ્યુટર થકી સૌથી વધુ ક્રમાંકવાળા 13 હજાર લોકોને પસંદ કર્યા અને ઓર્ડર આપી દીધો. જો ભરતીમાં ઇન્ટરવ્યુની પ્રથા બંધ કરવામાં આવે તો ભલામણ અને ભ્રષ્ટાચાર ખતમ થઇ જશે. આ પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતમાં અમે કર્યો છે.
તેમણે કહ્યું કે હું તમારા ભવિષ્યની ગેરન્ટી લઇને આવ્યો છું, યુવાનોના ભાગ્યની ગેરન્ટી લઇને આવ્યો છું. ભારતનું ભાગ્ય ભારતના નવયુવાનના હાથમાં છે. ભાજપ નવયુવાનને અવસર આપવાનો સંકલ્પ લઇને આવ્યો છું. દેશને દિલ્હીની સરકારને ઉખેડી ફેંકવા ઉતાવળી છે. ચાલો આપણે સંકલ્પ કરીએ, ભારતના ભાગ્ય માટે કોંગ્રેસમુક્ત ભારતનું નિર્માણ એ જ ગરીબીમુક્ત, ભ્રષ્ટાચાર મુક્ત માટે કોંગ્રેસ મુક્ત ભારતના સંકલ્પ સાથે આગળ વધીએ.