શું નીતિશની રેલીમાં રંગ રાખવા મોદીએ પોતાની મહારાષ્ટ્ર રેલી રદ કરી?
17 માર્ચના રોજ નીતિશ કુમારે દિલ્હીના રામલીલા મેદાનમાં અધિકાર રેલીનું આયોજન કર્યું છે. આ દરમિયાન મોદીની પણ મુંબઇમાં રેલી હતી. જેડીયૂને ભય હતો કે મોદીની રેલીના કારણે તેમની રેલીનો રંગ ફીકો પડી શકે છે માટે જેડિયુએ ભાજપને મોદીની રેલી રદ કરવાનો આગ્રહ કર્યો અને ભાજપે નીતિશનો આગ્રહ માની લીધો.
ચેનલના જણાવ્યા અનુસાર મોદીની રેલી રદ કરાવવા નીતિશ કુમારે ગયા અઠવાડિયે રાજ્યસભામાં વિપક્ષના નેતા અરૂણ જેટલી સાથે વાતચીત કરી હતી. જેટલી ગુજરાતથી રાજ્યસભાના સાંસદ છે. તેમને મોદીના પ્રબળ સમર્થક માનવામાં આવે છે, માટે સૌથી પહેલા તેમનો સંપર્ક કરવામાં આવ્યો.
ત્યાર બાદ લાલકૃષ્ણ આડવાણી સાથે ચર્ચા થઇ. ભાજપ અધ્યક્ષ રાજનાથસિંહે મોદીને વિશ્વાસમાં લઇને રેલી રદ કરાવી દીધી છે. નીતિશ અને મોદી વચ્ચે વીસ-છત્રીસનો આંકડો છે. ભાજપા મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવવાની કોશિશમાં છે. નીતિશ કુમાર મોદીની પ્રધાનમંત્રી પદની દાવેદારીનો વિરોધ નોંધાવી રહ્યા છે.