મોદી સરકારમાં પહેલું મિશન 'ફુગાવો નિયંત્રણ'
નવી દિલ્હી, 20 મે : નરેન્દ્ર મોદીએ ચૂંટાઇ આવતા જ એનડીએના ચૂંટણી ઢંઢેરા પર અમલ શરૂ કર્યો છે. સૌથી પહેલા મોંધવારી દૂર કરવાની દિશામાં કામકાજ શરૂ કર્યું છે. ઉપભોગતા મંત્રાલયે આ દિશામાં પહેલ કરતા ખાદ્ય વસ્તુઓના ભાવો ઘટાડવાના ઉપાયો ઉપર અમલની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ સંદર્ભમાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે બેઠકોનો સિલસીલો યોજાયો હતો. નરેન્દ્ર મોદીએ આવતાની સાથે જ અધિકારીઓની દોડધામ શરૂ કરાવી દીધી છે.
પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે મોંઘવારી ઉપર લગામ મુકવા માટે ઉપાયો શોધવા માટે એપ્રિલ 2010માં ત્રણ કમિટીઓની રચના કરી હતી. આ કમિટીઓએ પોતાનો રિપોર્ટ બે મહિનામાં વડાપ્રધાનને સોંપવાનો હતો. આ કમિટીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કમિટી પણ હતી. તેમણે પોતાનો રિપોર્ટ વડાપ્રધાનને સોંપ્યો હતો તેમાં મોંઘવારીને કાબુમાં લાવવા માટે 62 વ્યવહારૂ બિંદુઓ અને લગભગ 20 તાત્કાલિક પગલા લેવાની ભલામણ કરવામાં આવી હતી.

આ સૂચનોમાં વાયદા બજારને બંધ કરવાની ભલામણ મુખ્ય હતી. જો કે મનમોહનસિંહે મોદી સમિતીના કામકાજ અને તેની ભલામણોને વખાણી હતી. પરંતુ આ ભલામણો ઉપર અમલ નહોતો કર્યો.
હવે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બની રહી છે ત્યારે ઉપભોકતા મામલાના મંત્રાલયને આ રિપોર્ટને બહાર કાઢીને તેના પર અમલ કરવા અંગે વિચાર શરૂ કર્યો છે. જેને કારણે મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે બેઠકોનો સિલસિલો શરૂ થયો છે.
આ બેઠકનો એજન્ડા જીવન જરૂરી રોજબરોજમાં ઉપયોગમાં આવતી વસ્તુઓના ભાવો ઉપર નિયંત્રણ લાવી તેના ઉપર અમલ કરવાનો હતો. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે ભાવિ વડાપ્રધાનની પ્રથમ પ્રાથમિકતા મોંઘવારી ઉપર નિયંત્રણ લાવવાનું રહેશે કે જેથી અચ્છે દીન આને વાલે હૈ એ નારાને હકિકતમાં બદલી શકાય.












Click it and Unblock the Notifications
