નરેન્દ્ર મોદી મુસ્લિમોમાં સૌથી વધારે લોકપ્રિય વ્યક્તિ

ગયા વર્ષે વિવાદિત બનેલા પ્રસંગ કે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ ટોપી પહેરવાનો ઈન્કાર કર્યો એ વાતને ભાજપે યોગ્ય ઠેરવી છે. ભાજપે જણાવ્યું છે કે ટોપી ન પહેરવી એ કોઈ બાબતનો વિરોધ નથી, પક્ષના મુખપત્ર 'કમલ સંદેશ'ના લેટેસ્ટ અંકના તંત્રીલેખમાં જણાવાયું છે કે, ''ટોપી ન પહેરવી એ કોઈ બાબતનો વિરોધ નથી હોતો. જ્યારે કોઈ વસ્તુ પહેરવાથી ધર્મનો સંકેત બની જતો હોય તો તેને પહેરવા માટે કોઈને ફરજ પાડી શકાય નહીં.''
આ દલીલને આગળ વધારતાં તંત્રીલેખમાં વધુમાં જણાવાયું છે કે, ''આપણે કોઈ મુસ્લિમને તિલક કરવા માટે ફરજ પાડી શકીએ નહીં.'' આ તંત્રીલેખમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ગુજરાતના મુસ્લિમોમાં જો કોઈ સૌથી વધુ લોકપ્રિય વ્યક્તિ હોય તો એ નરેન્દ્ર મોદી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં એક પણ મુસ્લિમને ભાજપની ટિકિટ નહીં આપવા અંગે આ તંત્રીલેખમાં જણાવાયું છે, ''પ્રશ્ન એ વાતનો નથી કે ભાજપે કોઈ મુસ્લિમને ટિકિટ નથી આપી. ખરો પ્રશ્ન એ છે કે મુસ્લિમો ગુજરાતમાં સુખ-શાંતિથી રહે છે કે નહીં.''
અત્રે ઉલ્લેખનીય છે કે, મોદીની 'સદ્ભાવના યાત્રા' દરમિયાન એક મુસ્લિમ પ્રતિનિધિમંડળે તેમને ટોપી પહેરાવવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમણે ટોપી પહેરવાનો ઈન્કાર કરી દીધો હતો. જે વાતને લઈને ભારે વિવાદ સર્જાયો હતો.












Click it and Unblock the Notifications
