CM ઓફિસ તરફથી સ્પષ્ટતા, મોદી નહી જાય અયોધ્યા
ગાંધીનગર, 18 જૂન : આજે સવારથી મીડિયામાં નરેન્દ્ર મોદીને લઇને એવા સમાચારો આવી રહ્યા હતા કે મોદી આજે અયોધ્યા જઇને વિવાદીત સ્થળ પર જઇને પૂજા કરશે. જોકે મોડી સાંજે મુખ્યમંત્રીના કાર્યાલય તરફથી જારી કરવામાં આવેલ પ્રેસ રીલીઝમાં ખુલાસો કર્યો છે કે પૂર્વનિર્ધારિત કાર્યક્રમોને પગલે નરેન્દ્ર મોદી અયોધ્યા જવાના નથી.
અયોધ્યાના મહંત નૃત્ય ગોપાલદાસજી મહારાજે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને 13 જૂન 2013ના રોજ ટેલિફોન પર સંપર્ક કર્યો હતો. ગોપાલદાસજીના 75માં જન્મદિવસ પર અમૃત મહોત્સવ અયોધ્યામાં 19થી 22 જૂન 2013 સુધી આયોજીત થઇ રહ્યા છે. આ મહોત્સવમાં હાજરી આપવા મહંતજીએ મોદીને ભાવભીનું આમંત્રણ આપ્યું હતું.
જોકે નરેન્દ્ર મોદીએ આના માટે મહંતજી સાથે ફોન પર વાત કરતા વિનમ્રભાવ સાથે જણાવ્યું હતું કે પૂર્વનિર્ધારિત કાર્યક્રમોને કારણે તેમનું અમૃત મહોત્સવમાં આવવું મુશ્કેલ છે. જોકે મોદીએ મહંતજીને અમૃત મહોત્સવની સફળતા માટે શુભેચ્છા પાઠવી છે.
અયોધ્યામાં યોજાનાર આ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી હાજર રહી શકશે નહીં, આ અંગે મગહંતજીને એજ દિવસે મોદીએ ફોન પર જાણકારી આપી હતી, માટે આ અંગે પ્રેસ મીડિયામાં જે વિવાદ ચાલી રહ્યો છે તે યોગ્ય નથી.
જોકે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી ખાતે લાલકૃષ્ણ અડવાણીને તેમના નિવાસસ્થાને જઇને મળીને તેમના આશિર્વાદ લીધા. જ્યાં મોદીએ તેમને આશ્વાસન આપ્યું કે તેઓ બધાને સાથે લઇને ચાલશે.