વિદેશીઓના PM પદના ઉમેદવાર છે નરેન્દ્ર મોદી: લાલૂ
પટણા, 10 માર્ચ: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધતાં રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવે શનિવારે કહ્યું હતું કે ભગવા પાર્ટીના નેતા વિદેશીઓના વડાપ્રધાન પદના ઉમેદવાર છે માટે અમેરિકા, બ્રિટેન અને અન્ય દેશ તેમના પ્રત્યે નરમ વલણ અપનાવી રહ્યાં છે.
પોતાના નિવાસસ્થાને સંવાદદાતાઓ સાથે વાતચીત કરતાં લાલૂ પ્રસાદ યાદવે કહ્યું હતું કે 'ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિદેશીઓના ઉમેદવાર (વડાપ્રધાન પદ માટે) છે. માટે અમેરિકા, બ્રિટેન અને પશ્વિમી દેશો તેમના પ્રત્યે નરમ વલણ ધરાવે છે. ભારતના વડાપ્રધાન બનવાનું નરેન્દ્ર મોદીનું સપનું ક્યારેય પુરૂ નહી થાય. આ બધ દેશમાં સત્તામાં આવશે તો કોમી રમખાણો કરાવી દેશે.
થોડા દિવસો પહેલાં રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠકમાં કોંગ્રેસને 'ઉધઇ' ગણાવીને નિશાન સાધનાર નરેન્દ્ર મોદી પર વળતો પ્રકાર કરતાં રાષ્ટ્રીય જનતા દળના સુપ્રિમો લાલૂ પ્રસાદ યાદવે કહ્યું હતું કે મોદી પોતે ઉધઇ છે. સાચી રીતે તો ભાજપ અને આરએસએસ ઉધઇ છે જે ધર્મનિરપેક્ષરૂપી ભારત વૃક્ષને ચાટી રહી છે. નરેન્દ્ર મોદીનું વડાપ્રધાન બનવાનું સપનું ક્યારેય પુરૂ નહી થાય. આગામી લોકસભાની ચુંટણી બાદ કેન્દ્રમાં ધર્મનિરપેક્ષ દળોની જ સરકાર રચાશે. અમે તેમનું પ્લાનિંગ સફળ થવા દઇશું નહી.
લાલૂ પ્રસાદ યાદવે કહ્યું હતું કે 'અલ્હાબાદમાં સાધુ-સંતોની હાજરીમાં નરેન્દ્ર મોદીના નામ પર ચર્ચા કરવા માટે આયોજીત કાર્યક્રમમાં વિશ્વ હિન્દૂ પરિષદની જમીન સરકી ગઇ હતી. ઇશ્વરે એવું રૂપ બતાવ્યું કે આંધીમાં તંબૂ ઉધડી ગયા.'
નિતિશ કુમાર દ્રારા નરેન્દ્ર મોદીના વિરોધને ઉપરછલ્લો દેખાવો ગણાવતાં લાલૂ પ્રસાદ યાદવે કહ્યું હતું કે 'નિતિશ કુમારની નરેન્દ્ર મોદી વિરોધના દાવાની હવા નિકાળવામાં આવી છે. તેમની પાર્ટીના સાંસદ જયનારાયણ નિષાદે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે દિલ્હીમાં પોતાના ઘરે યજ્ઞ કરાવ્યો. નિતિશ કુમારમાં હિંમત હોય તો નિષાદ વિરૂદ્ધ કાર્યવાહી કરી બતાવે.