નરેન્દ્ર મોદી ઉત્તરપ્રદેશ નહીં પણ બિહારથી ચૂંટણી લડશે?
પટણા, 29 જુલાઇ : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તેમના કટ્ટર વિરોધી નીતિશ કુમારના ગઢમાંથી લોકસભા ચૂંટણી 2014 લડી શકે છે. નરેન્દ્ર મોદી માટે અગાઉ ઉત્તર પ્રદેશમાંથી ચૂંટણી લડશે એમ કહેવામાં આવતું હતું. હવે કહેવામાં આવે છે કે તેઓ બિહારના નાલંદામાંથી ચૂંટણી લડી શકે છે.
આવો દાવો અન્ય કોઇ નહીં પણ બિહાર ભાજપના જ એક નેતા એ આ વાત કરી છે. રવિવારે આ અંગેની વાત કરતા ભાજપના ઉપાધ્યક્ષ સી પી ઠાકુરે જણાવ્યું કે નરેન્દ્ર નાલંદાથી આગામી લોકસભા ચૂંટણી લડી શકે તેવી સંભાવના છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી ઠાકુરે જણાવ્યું કે બિહારના પાર્ટી નેતાઓએ નરેન્દ્ર મોદીને નાલંદાથી ચૂંટણી ઉમેદવાર બનવા માટે આગ્રહ કર્યો છે. તેમને આશા છે કે તેઓ આ માટે રાજી થઇ જશે. તેમણે જણાવ્યું કે પ્રદેશ ભાજપે નીતિશ કુમારની વિરુદ્ધ અહીંથી 100 કિલોમીટર દૂર અભિયાન શરૂ કર્યું છે.
સત્તાધારી જનતાદળ યુનાઇટેડ (જેડીયુ)એ જણાવ્યું કે નરેન્દ્ર મોદીનું બિહારથી ચૂંટણી લડવા માટે સ્વાગત છે. જો કે તેમણે એવો પ્રશ્ન પણ ઉઠાવ્યો છે કે આનો અર્થ એ છે કે તેમના ગુજરાતમાંથી વિજયનો વિશ્વાસ નથી.
જેડીયુના પ્રવક્તા નીરજ કુમારે જણાવ્યું કે ભાજપ નરેન્દ્ર મોદી સહિત કોઇને પણ નાલંદાથી ચૂંટણી લડાવવા માટે સ્વતંત્ર છે. તેમણે જણાવ્યું કે જેડીયુ ભાજપના કોઇ પણ ઉમેદવારથી ડરતી નથી. ભલે તે નરેન્દ્ર મોદી હોય કે અન્ય કોઇ હોય.