નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી પહેલા કરશે ભારત યાત્રા
આ સાથે એક મહત્વનો અહેવાલ એવો પણ આવી રહ્યો છે કે ભાજપના નેતાઓએ એવો નિર્ણય પણ લીધો છે કે, લોકસભા ચૂંટણી પહેલા ભાજપના નેતૃત્વવાળા એનડીએ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવારની જાહેરાત કરવામાં નહિ આવે. જો કે યાત્રા દ્વારા નરેન્દ્ર મોદીને રાષ્ટ્રીય સ્તરે રજુ કરાશે. જેથી દેશના મતદારોના મનમાં સ્પષ્ટતા થઇ જાય કે 2014ની ચૂંટણીમાં ભાજપ સત્તા ઉપર આવે તો મોદી જ પક્ષનું નેતૃત્વ કરશે.
આ અંગે વાત કરતા ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યુ છે કે પક્ષે મોદીને જુદા જુદા રાજયોમાં મોકલીને મતદારોને એક જુથ કરવા સાથે મોદીને રાષ્ટ્રીય સ્તર પર મતદારો સમક્ષ લાવવાનો નિર્ણય લીધો છે. ભાજપના નેતાએ જણાવ્યું કે, હજુ એ નિર્ણય લેવાયો નથી કે, આ યાત્રાનો આરંભ ક્યાંથી કરવામાં આવશે.
આ નિર્ણય અંગે ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ સર્વસંમત નથી પરંતુ પક્ષના અધ્યક્ષ રાજનાથસિંહ, રાજયસભામાં વિપક્ષી નેતા અરૃણ જેટલી, ભાજપના પુર્વ અધ્યક્ષ વૈકેયા નાયડુ સહિત પક્ષના મોટાભાગના વરિષ્ઠ નેતાઓએ આ યાત્રા પર સહમતી આપી છે. તેમને આશા છે કે, મોદીની લોકપ્રિયતા વટાવીને લોકસભાની ચૂંટણીમાં ભાજપ ફાયદામાં રહી શકે છે. રાજનાથસિંહ અને જેટલીનું માનવુ છે કે મોદી પક્ષના સૌથી લોકપ્રિય નેતા છે. 6 વર્ષ સુધી સરકાર ચલાવ્યા બાદ એપ્રિલ 2004થી ભાજપ સત્તાથી વિમુખ છે.
લોકસભાની ચૂંટણીના પ્રચારની વ્યૂહરચના ઘડવાની સાથે ભાજપનું નેતૃત્વ નરેન્દ્ર મોદી માટે એક યોગ્ય લોકસભાની બેઠકની શોધ પણ ચલાવી રહ્યું છે. જેથી પક્ષને તેનો ફાયદો મળી શકે. ભાજપની સામે એક વિકલ્પ એ છે કે મોદીને લખનૌથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવે ત્યાંથી અગાઉ વાજપેયી ચુંટણી લડતા હતા. લખનૌથી ભાજપના સાંસદ લાલજી ટંડન અગાઉ કહી ચુકયા છે કે જો મોદી લખનૌથી ચુંટણી લડવા માંગતા હોય તો તેઓ આ બેઠક ઉપરથી પોતાની દાવેદારી પાછી ખેંચી લેશે.
ભાજપના નેતાઓએ જો કે એ નક્કી નથી કર્યુ કે મોદી કઇ બેઠક પરથી ચૂંટણી લડશે કારણ કે લખનૌ ઉપરાંત યુપીની કેટલીક બીજી બેઠકો પણ છે જયાંથી મોદીને ઉભા રાખી શકાય તેમ છે. ભાજપના નેતાઓનું માનવુ છે કે, યુપીમાં લોકસભાની 80 બેઠકો છે અને મોદીની લોકપ્રિયતા ભાજપને ત્યાં વધુ બેઠકો અપાવી શકે છે. હાલ ભાજપ પાસે માત્ર 10 બેઠકો જ છે.
ભાજપના નેતાઓ રાજસ્થાનને પણ એક વિકલ્પ ગણે છે જયાં ભાજપ પાસે 25માંથી ફકત ચાર લોકસભાની બેઠકો છે. ભાજપના નેતાઓનું માનવુ છે કે મોદી જો ત્યાંથી ચુંટણી લડે તો પક્ષને રાજયમાં વધુ ફાયદો થઇ શકે તેમ છે તો પક્ષના નેતાઓનું માનવુ છે કે, ગુજરાતમાં મોદીની લોકપ્રિયતા એટલી બધી છે કે જો મોદી ત્યાંથી ચૂંટણી ન પણ લડે તો પણ ત્યાં ભાજપને વધુ બેઠકો મળશે. ગુજરાતમાં 26માંથી 15 બેઠકો ભાજપ પાસે છે.