'કબૂલ હે, કબૂલ હે, કબૂલ હે...આ શું કર્યુ તે સમીર', નવાબ મલિકે ફરીથી ફોડ્યો 'ટ્વિટ બૉમ્બ'
નવાબ મલિકે રવિવારે મોડી રાતે પોતાના ટ્વિટર હેન્ડલ પર વધુ એક ફોટો જાહેર કર્યો છે અને દાવો કર્યો છે કે આ ફોટો સમીર વાનખેડેના નિકાહનો છે.
મુંબઈઃ બૉલિવુડ અભિનેતા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની ડ્રગ્ઝ કેસમાં ધરપકડ બાદથી મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિક અને એનસીબીના ઑફિસર સમીર વાનખેડે સામ-સામે આવી ગયા છે. આ કડીમાં નવાબ મલિકે રવિવારે મોડી રાતે પોતાના ટ્વિટર હેન્ડલ પર વધુ એક ફોટો જાહેર કર્યો છે અને દાવો કર્યો છે કે આ ફોટો સમીર વાનખેડેના નિકાહનો છે. ફોટામાં કથિત રીતે સમીર વાનખેડે એક દસ્તાવેજ પર હસ્તાક્ષર કરતા જોવા મળી રહ્યા છે. જો કે, નવાબ મલિકના આ દાવા પર સમીર વાનખેડે તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
ફોટા સાથે નવાબ મલિકે શું લખ્યુ
નવાબ મલિકે જે ફોટાને પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે તેના કેપ્શનમાં લખ્યુ છે, 'કબૂલ હે, કબૂલ હે, કબૂલ હે...યહ ક્યા કિયા તૂને સમીર દાઉદ વાનખેડે...' તમને જણાવી દઈએ કે નવાબ મલિક સતત એ દાવો કરી રહ્યા છે કે એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે જન્મથી મુસ્લિમ છે પરંતુ તેમણે નકલી જાતિ પ્રમાણપત્ર લગાવીને અનામત કેટેગરીમાં નોકરી મેળવી છે. વળી, સમીર વાનખેડે અને તેનો પરિવારના લોકોએ નવાબ મલિકના આ બધા આરોપોનુ ખંડન કર્યુ છે.
નીલોફર મલિક ખાને પણ કર્યુ ટ્વિટ
આ પહેલા શનિવારે નવાબ મલિકની દીકરી નીલોફર મલિક ખાને પણ પોતાના ટ્વિટર હેન્ડલ પર અમુક દસ્તાવેજ જાહેર કર્યા અને દાવો કર્યોખે આમાંથી એક સમીર વાનખેડેના લગ્ન સર્ટિફિકેટ છે અને બીજુ રિસેપ્શનનુ કાર્ડ. નીલોફર મલિકે કહ્યુ કે આ દસ્તાવેજ એ વાતના પુરાવા છે કે સમીર વાનખેડેના પહેલા લગ્ન શબાના કુરેશી સાથે થયા છે. નીલોફરે પોતાના ટ્વિટમાં જે કાર્ડ બતાવ્યુ તેમાં વરરાજા તરીકે સમીર અને તેમના માતા-પિતા તરીકે દાઉદ તેમજ જાહિદા વાનખેડેનુ નામ લખ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે નવાબ મલિક પણ એ વાતનો દાવો કરી રહ્યા છે કે સમીર વાનખેડેના પિતાનુ નામ દાઉદ છે જ્યારે સમીરના પરિવારે આ આરોપો પર જવાબ આપ્યો કે તેમના પિતાનુ નામ જ્ઞાનદેવ વાનખેડે છે.
નવાબ મલિકનો આરોપ - વસૂલી કરે છે વાનખેડે
તમને જણાવી દઈએ કે ગયા મહિને બૉલિવુડ અભિનેતા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની ડ્રગ્ઝ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં નવાબ મલિકે આરોપ લગાવ્યો કે સમીર વાનખેડે ડ્ર્ગ્ઝનો ખોટો કેસ બનાવીને લોકો પાસે પૈસા વસૂલી કરે છે. નવાબ મલિકના આરોપો પર એનસીબી અને મુંબઈ પોલિસ તરફથી તપાસ પણ ચાલી રહી છે. વળી, સમીર વાનખેડેના પિતા તરફથી નવાબ મલિક સામે દાખલ કરવામાં આવેલ માનહાનિના કેસ પણ આજે હાઈકોર્ટમાંથી મહત્વનો ચુકાદો આવી શકે છે.