ગડકરી પ્રમુખ તરીકે ચાલુ રહેશે, આજે હિમાચલ પ્રદેશ જશે
આ અંગેની સ્પષ્ટતા કરતા ભાજપના પ્રવક્તા પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે "સમગ્ર પાર્ટી ગડકરીની પડખે છે. તેમના ઉપર લગાવવામાં આવેલા એક પણ આરોપો સાબિત થયા નથી. આ કારણે તેમના રાજીનામા આપવા અંગે કોઇ પ્રશ્ન ઉભો થતો નથી. તપાસ ચાલી રહી છે. પરિણામ આવશે ત્યારે આ અંગે વિચારવામાં આવશે."
જાવડેકરે જણાવ્યું કે નીતિન ગડકરી પૂર્વનિર્ધારિત કાર્યક્રમ અનુસાર શનિવારે સવારે હિમાચલ પ્રદેશના પ્રવાસે જશે. ત્યાં તેઓ ચૂંટણી પ્રચાર રેલીને સંબોધન પણ કરશે.
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન ગડકરીનું નામ જમીનના ભ્રષ્ટાચારમાં ખૂલ્યા પછી અને ઇન્કમ ટેક્સ તથા સંબંધિત વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસને પગલે ભાજપમાં કટોકટીની સ્થિતિ ઉભી થઇ હતી. પરિસ્થિતિને વણસતી અટકાવવા શુક્રવારે સાંજે પાર્ટીના અગ્રણી નેતાઓએ ગડકરીને દિલ્હી તેડાવ્યા હતા. નીતિન ગડકરીના દિલ્હી પહોંચ્યા બાદ તાત્કાલિક કોર કમિટીની બેઠક મળી હતી અને નિર્ણય લેવામાં આવ્યો હતો.