નીતિશ કુમાર ઈન્ડિયા ગઠબંધન છોડવા જઈ રહ્યા છે? જાણો કેમ શરૂ થઈ અટકળો?
પ્રવાહ જોઈને પલ્ટી મારવા માટે જાણીતા નીતિશ કુમાર ફરીથી નવી શંકાઓને જન્મ આપી રહ્યા છે. હાલમાં જનતા દળ યુનાઈડેટે અરુણાચલ પશ્ચિમ લોકસભા સીટ પરથી પાર્ટીના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે.
અરુણાચલ પ્રદેશમાં લોકસભા ચૂંટણી માટે જેડીયુએ જે રીતે ઉમેદવારોના નામ જાહેર કરવામાં ઝડપ બતાવી છે તેનાથી લાગે છે કે વિરોધ પક્ષોના ઈન્ડિયા બ્લોકમાં મતભેદો વધી રહ્યા છે. નીતિશ કુમારનો આ નિર્ણય કોંગ્રેસ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

કોંગ્રેસ ઈન્ડિયા બ્લોકમાં સૌથી મોટી પાર્ટી છે અને અરુણાચલ પશ્ચિમ લોકસભા સીટ પર જ્યાંથી JDUએ પાર્ટીના ઉમેદવાર જાહેર કર્યા છે ત્યાં કોંગ્રેસ 2019ની લોકસભા ચૂંટણીમાં બીજા ક્રમે રહી હતી. કોંગ્રેસ આવી બેઠકો પર પોતાનો દાવો કરી રહી છે.
જણાવી દઈએ કે, ગઈ લોકસભા ચૂંટણીમાં બીજેપીએ અરુણાચલ પ્રદેશની બંને લોકસભા સીટો પર જીત મેળવી હતી. ત્યારે ત્યાં લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ હતી.
જેડીયુ મહાસચિવ અફાક અહેમદે એક નિવેદનમાં કહ્યું કે, અરુણાચલ પ્રદેશ જેડીયુ પ્રમુખ રૂહી તાંગુંગ અરુણાચલ પશ્ચિમ લોકસભા બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર હશે. આ જાહેરાત નીતિશ કુમારના પાર્ટી અધ્યક્ષ બન્યા બાદ થોડા સમયમાં કરાઈ છે.
અફાક અહેમદે કહ્યું છે કે, આ જાહેરાત પાર્ટી અધ્યક્ષ નીતીશ કુમાર દ્વારા આપવામાં આવેલા નિર્દેશો અનુસાર કરવામાં આવી છે. નીતીશ કુમાર હાલમાં જ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ લલન સિંહના સ્થાને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે. અગાઉ ચર્ચા હતી કે તે અત્યાર સુધી ઈન્ડિયા બ્લોકમાં કોઈ મહત્વની ભૂમિકા ન મળવાથી નારાજ છે.
નીતિશ કુમાર ભારતીય રાજનીતિનું એક એવું વ્યક્તિત્વ છે, જે વિચારધારાના બે છેડે બેઠેલા પક્ષો સાથે સમયાંતરે બહુ સરળતાથી ગઠબંધન કરવામાં નિષ્ણાત છે. તેમના રાજકીય ઈતિહાસને ધ્યાનમાં લઈએ તો તેમના આગામી પગલા અંગે અનેક અટકળો ચાલી રહી છે.












Click it and Unblock the Notifications
