રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણી માટે નીતિશને યાદ આવ્યા લાલુ
પટણા, 14 જૂન : બિહારથી રાજ્યસભાની બે બેઠકો માટે આગામી 19 જૂને પેટાચૂંટણીઓ યોજાવાની છે. આ પેટાચૂંટણીઓમાં જનતાદળ (યુનાઇટેડ)ના બે ઉમેદવારોને પાર્ટીના બળવાખોર ધારાસભ્યો દ્વારા સમર્થિત બે અપક્ષ ઉમેદવારો તરફથી આકરી ટક્કર મળી રહી છે. આ ટક્કરને જોતા નીતિશ કુમારને હવે લાલુ પ્રસાદ યાદવ યાદ આવી રહ્યા છે.
આ સંદર્ભમાં શનિવારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમારે આરજેડીના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ, કોંગ્રેસ અને સીપીઆઇ પાસેથી ભાજપના 'ગેમ પ્લાન'ને નિષ્ફળ બનાવવા માટે 'કોમન કોઝ' તરીકે સાથે મળીને જોવાની અપીલ કરી છે.
નીતિશ કુમારનું કહેવું છે કે ભાજપ બિહાર સરકારને અસ્થિર બનાવીને રાજ્યમાં ચૂંટણી લાવવા ઇચ્છે છે. પટણા સ્થિત જેડીયુના પ્રદેશ કાર્યાલયમાં પત્રકારોને સંબોધિત કરતા નીતિશ કુમારે જણાવ્યું કે મેં લાલુપ્રસાદ યાદવ, કોંગ્રેસના રાજ્યપ્રમુખ અશોક ચૌધરી અને તેના વિધાયક દળના નેતા સદાનંદ સિંહ અને સીપીઆઇના સચિવ રાજેન્દ્ર સિંહ સાથે વાત કરીને બિહારથી રાજ્યસભા સીટ માટે જેડીયુના ઉમેદવારોનું સમર્થન માંગ્યું છે.
જેડીયુના બે ઉમેદવારો, રાજનીતિજ્ઞથી રાજનેતા બનેલા પવન વર્મા અને ગુલામ રસૂલ બલયાવીને બે અપક્ષ ઉમેદવારો રિયલ એસ્ટેટના બેતાજ બાદશાહ અનિલ શર્મા અને સાબિર અલી પાસેથી આકરી ટક્કર મળી રહી છે. કારણ કે તેમને જેડીયુના અસંતુષ્ટો અને ભાજપનું સમર્થન મળી રહ્યું છે.