રાહુલ ગાંધી ગુજરાતમાં આવવાથી નથી ડરતા : અશ્વિની કુમાર
લોકસભા ગૃહની બહાર પત્રકારો સાથે વાત કરતા અશ્વિનીકુમારે કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષની કોઈપણ વ્યક્તિ નરેન્દ્ર મોદીથી ડરતી નથી અને ખાસ તો રાહુલ ગાંધી મોદીથી ડરતા નથી. તેમણે કહ્યું હતું કે રાહુલે પોતાની આદર્શ છબી ઘડી છે અને પક્ષને આદર્શ દીર્ઘદ્રષ્ટિ આપી છે. અશ્વિની કુમારે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી યોગ્ય સમય આવ્યે ગુજરાતમાં જશે અને ચૂંટણી પ્રચારમાં પણ ભાગ લેશે.
ગુજરાતની વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં આવવાની રાહુલ ગાંધીની ઈચ્છા નથી તેવા નરેન્દ્ર મોદીના આક્ષેપોના જવાબમાં અશ્વિની કુમારે કહ્યું હતું કે ભાજપે રાજકીય દેવાળુ ફૂંક્યું છે તેથી તેઓ અમારા નેતા ગુજરાતમાં જશે કે નહીં એ બાબતને મુદ્દાનો વિષય બનાવે છે.
તેમણે કહ્યું હતું કે અમે કોઈના ઉપર વ્યક્તિગત પ્રહાર કરતા નથી. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત વિકસતું રાજ્ય હોવાનું કહેવાય છે પરંતુ ઘણી બધી બાબતોમાં ગુજરાત પછાત છે અને એ અંગેની હકીકતો પ્રજા સમક્ષ લાવવાની જરૂર છે.