મહારાષ્ટ્રમાં ઠાકરે અને શિંદેમાંથી કોઈને નહીં મળે શિવસેનાનો સિમ્બોલ, ECનો આદેશ!
મહારાષ્ટ્રમાં શિવસેના સરકારમાંથી બહાર થયા બાદ સતત મુશ્કેલીનો સામનો કરી રહી છે. એક તરફ એકનાથ શિંદેએ સરકાર પર કબ્જો કરી લીધો છે તો બીજી તરફ શિવસેનાના સિમ્બોલને લઈને પણ બબાલ ચાલી રહી છે.
મુંબઈ : મહારાષ્ટ્રમાં શિવસેના સરકારમાંથી બહાર થયા બાદ સતત મુશ્કેલીનો સામનો કરી રહી છે. એક તરફ એકનાથ શિંદેએ સરકાર પર કબ્જો કરી લીધો છે તો બીજી તરફ શિવસેનાના સિમ્બોલને લઈને પણ બબાલ ચાલી રહી છે. આજે સ્થિતી એ છે કે શિવસેના તેના અસ્તિત્વ સામે ઝઝૂમી રહી છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે હવે શિવસેના માટે ખરાબ સમાચાર આવ્યા છે.
હાલ અંધેરી પૂર્વ પેટા ચૂંટણીને લઈને બંને પક્ષો શિવસેનાના ચૂંટણી સિમ્બોલ ધનુષ અને તીરને લઈને ચૂંટણી પંચમાં પહોંચ્યા છે. આ મામલે હવે ભારતના ચૂંટણી પંચે વચગાળાનો આદેશ પસાર કર્યો છે.
ચૂંટણી પંચે હવે શિવસેનાના ધનુષ અને તીરના દાવા પર વચગાળાનો આદેશ પસાર કર્યો છે. EC એ અંધેરી પૂર્વ પેટાચૂંટણીમાં જણાવ્યું કે શિવસેના માટે આરક્ષિત ધનુષ અને તીર પ્રતીકનો ઉપયોગ કરવા માટે બંને જૂથોમાંથી કોઈપણને મંજૂરી આપવામાં આવશે નહીં. આદેશ મુજબ બંને પક્ષોને અલગ-અલગ ચૂંટણી ચિન્હની ફાળવણી કરવામાં આવશે.
EC એ કહ્યું કે બંને જૂથોને અલગ પ્રતીકો પણ ફાળવવામાં આવશે. તેઓ ચાલુ પેટાચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા સૂચિત મફત પ્રતીકોની સૂચિમાંથી પસંદ કરી શકે છે. જે સંદર્ભે બંને પક્ષોને 10મી ઓક્ટોબરે બપોરે 1 વાગ્યા સુધીમાં રજૂઆત કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.
એકનાથ શિંદે જૂથે અંધેરી પૂર્વ વિધાનસભા પેટાચૂંટણી પહેલા શિવસેનાના ચૂંટણી ચિહ્ન ધનુષ અને તીર પર દાવો કર્યો હતો, જેના માટે તેઓએ 7 ઓક્ટોબરે EC પાસે માંગ કરી હતી કે શિવસેનાનું ચૂંટણી ચિન્હ તેમને ફાળવવામાં આવે, જેના પગલે ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરેને શનિવારે બપોરે 2 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જ્યાં તેમણે પાર્ટી અને તેના પ્રતિકને લઈને પોતાનો પક્ષ રાખ્યો હતો.