હવે રેલવે મુસાફરી કર્યા બાદ ફરિયાદ નોંધાવી શકાશે
ઘણીવાર જુદા જુદા કારણોસર મુસાફરોને સ્ટેશન પર કે સફર દરમિયાન ટ્રેનમાં અમુક સુવિધાઓ મળતી નથી. હવે એની ફરિયાદ સ્વીકારવા માટેના પગલાં લેવામાં આવ્યા છે. મુસાફરો તેમની ફરિયાદ હવે એમની સફર પૂરી થઈ ગયા બાદ પણ કરી શકશે. રેલવે તંત્રે આ માટે એક વિશેષ સેલ બનાવ્યો છે.
મુસાફરો ચાલતી ટ્રેનમાં કોઈ ફરિયાદ હોય તો ફરજ પર હાજર રહેલા ટિકિટ ચેકર કે ટ્રેનના ગાર્ડ પાસે ઉપલબ્ધ ફરિયાદ પુસ્તિકામાં પોતાની ફરિયાદ નોંધાવી શકશે. આ ફરિયાદ પુસ્તિકા ટિકિટ ચેકર કે ગાર્ડે મુખ્યાલયમાં જમા કરાવવી પડતી હોય છે, જે રેલવે બોર્ડને મોકલવામાં આવે છે. ત્યારબાદ તેમાંની ફરિયાદો પર સંબંધિત સ્તરે ત્વરિત કાર્યવાહી કરવામાં આવે છે.
મુસાફરો તાત્કાલિક સમાધાન માટે પોતાની ફરિયાદ એસએમએસ દ્વારા મુખ્યાલય અધિકારીઓને પણ આપી શકે છે. રેલવે બોર્ડે આ નવી વ્યવસ્થામાં પ્રત્યેક ઝોન અંતર્ગત આવતા તમામ ડિવિઝન માટે અલગ અલગ મોબાઈલ નંબરો આપ્યા છે.