ઉત્તર પ્રદેશમાં OBC અનામત માટે કમિશનનું ગઠન, 6 મહિનામાં રિપોર્ટ આપશે
યોગી સરકારે પંચાયત ચૂંટણીઓમાં ઓબીસી અનામત માટે કમિશનનું ગઠન કર્યુ છે. યુપી સરકારે પાંચ સભ્યોના કમિશનની રચના કરી છે અને નિવૃત્ત ન્યાયાધીશ રામ અવતાર સિંહને અધ્યક્ષ બનાવાયા છે.
લખનૌ : ઉત્તર પ્રદેશમાં પંચાયચ ચૂંટણીમાં ઓબીસી અનામત મુદ્દે મોટો વિવાદ સર્જાયો છે. હાઈકોર્ટે અનામત વગર જ ચૂંટણીઓ કરાવવાનો આદેશ કરતા હવે રાજનીતિ તેજ થઈ ગઈ છે. ઉત્તરપ્રદેશની યોગી સરકાર હવે વિપક્ષના નિશાને આવતા સરકાર પણ ઓબીસી અનામત માટે મેદાને પડી છે.
રાજનીતિ વચ્ચે હવે યોગી સરકારે પંચાયત ચૂંટણીઓમાં ઓબીસી અનામત માટે કમિશનનું ગઠન કર્યુ છે. યુપી સરકારે પાંચ સભ્યોના કમિશનની રચના કરી છે અને નિવૃત્ત ન્યાયાધીશ રામ અવતાર સિંહને અધ્યક્ષ બનાવાયા છે.
ઉત્તર પ્રદેશ સરકારના વિશેષ સચિવ દ્વારા જારી કરવામાં આવેલી નોટીસમાં કહેવાયુ છે કે, પદ સંભાળ્યાની તારીખથી આગામી છ મહિના માટે પૂર્વ ન્યાયાધીશ રામ અવતાર સિંહને ઉત્તર પ્રદેશ રાજ્ય સ્થાનિક સંસ્થાઓ સમર્પિત પછાત વર્ગ આયોગના અધ્યક્ષ તરીકે અને ભૂતપૂર્વ IAS ચૌબ સિંહ વર્મા, ભૂતપૂર્વ IAS મહેન્દ્ર કુમાર,પૂર્વ કાનૂની સલાહકાર સંતોષ કુમાર વિશ્વકર્મા અને પૂર્વ કાનૂની સલાહકાર બ્રિજેશ કુમાર સોનીને સભ્યો તરીકે નિયુક્ત કરાયા છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ચેરમેન અને સભ્યોના માનદ વેતન, ભથ્થા અને અન્ય સુવિધાઓ અંગે અલગ-અલગ આદેશ જારી કરવામાં આવશે.
અહીં તમને જણાવી દઈએ કે, ઓબીસી કમિશનની રચનાના એક દિવસ પહેલા જ અલ્હાબાદ હાઈકોર્ટે રાજ્ય સરકારના ડ્રાફ્ટ નોટિફિકેશનને ફગાવી દીધું હતું અને ઓબીસી માટે અનામત વિના સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજવા આદેશ આપ્યો હતો.