હવે આવી ગાડીઓ ભંગારમાં જશે, સરકાર લાવી રહી છે પોલિસી
સરકાર તરફથી પ્રદૂષણ નિવારણ અંગેના પગલા લેવામાં આવી રહ્યા છે. હાલ દેશમાં વધતા જતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને સરકાર ગંભીર છે અને તેને રોકવા માટે વિચારણ તેમજ નીતિઓ લાવી રહી છે.
સરકાર તરફથી પ્રદૂષણ નિવારણ અંગેના પગલા લેવામાં આવી રહ્યા છે. હાલ દેશમાં વધતા જતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને સરકાર ગંભીર છે અને તેને રોકવા માટે વિચારણ તેમજ નીતિઓ લાવી રહી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા 15 વર્ષથી જૂના સરકારી વાહનોને રિન્યુ ન કરવાનો પ્રસ્તાવનો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો છે. સરકાર આ પોલિસી 1 એપ્રિલ, 2023થી લાગુ કરવાની યોજના બનાવી રહી છે.
આ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, નિગમ અને પરિવહન વિભાગની બસો અને વાહનો માટે 15 વર્ષથી જૂના વાહનોને સ્ક્રેપ કરવા ફરજિયાત રહેશે. સરકાર 30 દિવસમાં સૂચનો માંગી રહી છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં પ્રદૂષણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે, જેને ધ્યાનમાં રાખીને નીતિન ગડકરીએ કેન્દ્ર સરકાર હેઠળના 15 વર્ષથી જૂના તમામ વાહનોને રોડ પરથી હટાવવા માટે જણાવ્યું છે.
શુક્રવારના રોજ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, આ નીતિ રાજ્યોને પણ મોકલી દેવામાં આવી છે અને તેમને 15 વર્ષથી જૂના તમામ સરકારી વાહનોને રસ્તા પરથી હટાવવાની અપીલ કરવામાં આવી છે. દિલ્હી સહિત દેશના તમામ રાજ્યોમાં પ્રદૂષણ ઝડપથી વધી રહ્યું છે. આગામી સમયમાં પ્રદૂષણની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે.
અત્રે નોંધનીય છે કે, સરકારે આ નિયમ પહેલાથી જ લાગુ કરી દીધો છે, જે અંતર્ગત રાજધાની દિલ્હી અને એનસીઆરમાં 10 વર્ષથી જૂના ડીઝલ વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દિલ્હી-એનસીઆરમાં 10 વર્ષથી જૂના ડીઝલ વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ છે, જ્યારે 15 વર્ષથી જૂના પેટ્રોલ વાહનો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ વાહનોને તેમની મુદ્દત પૂરી થયા બાદ ભંગારમાં મોકલવા સૂચના આપવામાં આવી છે.