જાણો કસાબ-અફઝલ બાદ હવે કોને લટકાવાશે ફાંસીના માંચડે
નવી દિલ્હી, 12 એપ્રિલ: મુંબઇ હુમલાનો દોષી અજમલ આમિર કસાબ અને સંસદ હુમલામાં આતંકવાદીઓને મદદ કરનાર અફઝલ ગુરુને ચુપચાપ ફાંસીના માંચડે લટકાવી દીધા બાદ દેશના નાગરિકોને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પ્રત્યે એવી આશા બંધાઇ છે કે દેશને અપવિત્ર કરનાર અને દેશમાં અશાંતિ ફેલાવનારાઓમાંથી હવે કોનો નંબર ફાંસીના માંચડે લટકવાનો આવશે. પ્રણવ મુખર્જીએ પોતાનું પદ સંભાળ્યા બાદ ઘણીબધી પેન્ડીંગ પડેલી દયા અરજીઓને ફગાવી દીધી છે. ઉપરાંત ફાંસીની સજાને લઇને સુપ્રીમ કોર્ટે પણ કડક વલણ અપનાવ્યું છે. આવો કરીએ એક નજર એવા કેટલાંક ચહેરાઓ પર જેમની રાહ જોઇ રહ્યો છે ફાંસીનો માંચડો.
ભુલ્લવરને થઇ શકે છે ફાંસી
સુપ્રીમ કોર્ટે ભુલ્લરની દયા અરજીને નકારી કાઢી એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, જેના પગલે તેની ફાંસીની સજા યથાવત રાખી છે. 2001માં ટાડા કોર્ટે ભુલ્લરને ફાંસીની સજા સંભળાવી હતી. કોર્ટે ભુલ્લરને 11 સપ્ટેમ્બર 1993માં દિલ્હીના યુથ કોંગ્રેસના ઓફિસની બહાર થયેલા કાર બોમ્બ ધમાકામાં દોષી ગણવ્યો હતો. જેમાં યૂથ કોંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ મનિન્દરજીત સિંહ બિટ્ટાને ગંભીર ઇજા પહોંચી હતી અને નવ સુરક્ષાકર્મીઓના મોત નિપજ્યા હતા.
ન્યાયમૂર્તિ જી એસ સિંઘવી અને ન્યાયમૂર્તિ એસ જે મુખોપાધ્યાયની ખંડપીઠે આ મુદ્દે ગત વર્ષે 19 એપ્રિલના રોજ ખાલિસ્તાન લિબરેશન ફોર્સના આતંકવાદી દેવિન્દ્રપાલ સિંહ ભુલ્લરના પરિવારની અરજી પર સુનાવણી પુરી કરી હતી, અને તેની ફાંસીને આજીવન કેદમાં બદલવાની અરજીને ફગાવી તેની ફાંસીની સજા યથાવત રાખી છે. એટલે કે હવે ભુલ્લવર ફાંસીના માંચડે જરૂર લટકશે એ વાતની ખરાઇ થઇ ગઇ છે.
રાજીવ ગાંધીના હત્યારાઓને ફાંસી
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે રાજીવ ગાંધીના ત્રણ હત્યારાઓની દયા અરજી ફગાવી દીધી હતી. આ ત્રણેયને ફાંસીની સજાની ખરાઇ પણ સુપ્રીમ કોર્ટે 2000માં કરી દીધી હતી. સુપ્રીમ કોર્ટે પ્રતિબંધિત સંગઠન લિબરેશન ટાઇગર્સ ઓફ તમિલ ઇલમના સભ્યો મુરુગન, સંથન, પેરારિવલન અને નલિનીને પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની 21 મે 1991ના રોજ શ્રીપેરુમબુદુરમાં હત્યા કરવાના દોષી પામવા બદલ 1999માં મોતની સજા સંભળાવી હતી.
સુપ્રીમ કોર્ટે દોષિયોની ફાંસીની સજા યથાવત રાખી જ્યારે નલિનીની ફાંસીની સજા આજીવન કેદમાં બદલી નાખી છે. કહી શકાય કે હવે ફાંસીના માંચડે રાજીવ ગાંધીના હત્યારાઓને લટકાવવામાં આવે.
ચંદન ચોર વીરપ્પનના સાથિયોને ફાંસી
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ચંદન ચોર અને તેની હેરાફેરી કરનાર વીરપ્પનના 4 સાથીયોની પણ દયા અરજી ફગાવી ચૂક્યા છે. અફજલ ગુરુ બાદ વીરપ્પનના સાથીઓને ફાંસી આપી દેવાનો રસ્તો સાફ થઇ ગયો છે. આ વાતની આરોપીઓને પણ જાણ કરી દેવામાં આવી છે. 2004માં 21 પોલીસ જવાનોની હત્યાના આરોપમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.
1993માં કર્ણાટકના પાલરમાં લેન્ડ માઇન બ્લાસ્ટ થયો હતો જેમાં 21 પોલીસ જવાનોના મોત થયા હતા. મેસૂર કોર્ટે તમામને જનમટીપની સજા સંભળાવી હતી. મેસૂર કોર્ટના નિર્ણયને સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકારતા સુપ્રીમ કોર્ટે 2004માં જ્ઞાનપ્રકાશ, સીમોન, મીસેકર મદૈયા અને બિલાવેન્દ્રનને ફાંસીની સજા સંભળાવી હતી.
ધરમપાલને અંબાલા જેલમાં ફાંસી
એક યુવતી સાથે બળાત્કારના આરોપી અને પીડિતાના પરિવારના પાંચ સભ્યોની હત્યા કરવાના દોષી ધરમપાલને અંબલા જેલમાં ફાંસી આપવામાં આવશે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા ધરમપાલની દયા અરજી પણ ફગાવી દીધા બાદ હરિયાણાના જેલ અધિકારીઓએ ગુરુવારે આ જાણકારી આપી.
હત્યાના આરોપમાં ધરમપાલ અને તેના ભાઇ નિર્મલને મોતની સજા સંભળાવવામાં આવી હતી, તેના એક વર્ષ બાદ હાઇકોર્ટે પણ બંનેની ફાંસીની સજા યથાવત રાખી હતી. જોકે સુપ્રીમ કોર્ટે 1999માં સુનવણીમાં નિર્મલની ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દીધી હતી.
સોનિયા પહેલી મહિલા જેને અપાશે ફાંસી
આઝાદી બાદ ભારતમાં પહેલીવાર કોઇ મહિલાને ફાંસીની સજા આપવામાં આવશે. હરિયાણાના બહુચર્ચિત રેલૂરામ હત્યાકાંડની દોષી સોનિયાની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી દીધી છે. સોનિયા પોતાના માતા પિતા સહિત 8 લોકોની હત્યાની દોષી સાબિત થઇ હતી.
ઉલ્લેખનીય છે કે 2001 ઓગસ્ટમાં પૂર્વ વિધાયક રેલૂરામ પૂનિયા સહિત પરિવારના 8 લોકોની હત્યા કર નાખી હતી. આ હત્યાકાંડમાં પુત્રી સોનિયા અને જમાઇ સંજીવે રેલૂરામ, રેલૂરામની પત્ની, પુત્ર સુનીલ, પુત્રવધુ શકૂંતલા, પુત્રી પ્રિયંકા, 4 વર્ષીય પૌત્ર લોકેશ, અઢી વર્ષીય પૌત્રી શિવાની અને દોઢ મહીનાની પ્રીતિની હત્યા કરી નાખી હતી.
સોનિયા અને તેના પતિને આ હત્યામાં દોષી ઠેરવતા સેશન કોર્ટે 31 મે 2004ના રોજ બંને ફાંસીની સજા સંભળાવી હતી. ત્યારબાદ તેમણે હાઇકોર્ટમાં નિર્ણયને પડકારતા 12 એપ્રિલ 2005ના રોજ કોર્ટે નિર્ણયને બદલીને જનમટીપમાં પરિવર્તિત કરી હતી.
બાદમાં રેલૂરામના ભાઇએ આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટે બે જજોની બેંચે ફેબ્રુઆરીમાં 2007માં હાઇકોર્ટના નિર્ણયને ફેરવી ફાંસીની સજા યથાવત રાખી. બાદમાં રાષ્ટ્રપતિએ પણ તેમની દયા અરજી ફગાવી દીધી. હવે હિસાર કોર્ટને ફાંસીની તારીખ નક્કી કરવાની છે, હાલમાં બંને અંબાલા જેલમાં બંધ છે.