વાર્ષિક 6 લાખથી વધુ આવક મેળવતા OBCને અનામતનો લાભ નહીં
મંત્રીઓના સમુહે ‘ક્રીમી લેયર' (સધ્ધર વર્ગ)ની રૂપિયા 4.50 લાખની આવક મર્યાદા વધારવાનો નિર્ણય લીધો છે. દર ચાર વર્ષે આ મામલે સમીક્ષા કરવામાં આવે છે. જેના ભાગરૂપે આ પ્રક્રિયા હાથ ધરાવામાં આવી છે. વાર્ષિક રૂપિયા 4.50 લાખની મર્યાદા વધારીને રૂપિયા 6 લાખ કરવામાં આવતા આ જુથનું પ્રતિનિધિત્વ કરતાં મંત્રીઓની મોટી પીછેહઠ થઇ હોવાનું ગણાય છે. અગાઉ જુનમાં કેબીનેટ સમક્ષ જયારે આ દરખાસ્ત આવી ત્યારે તેમણે વિરોધ કર્યો હતો. તેમણે દલીલ આપી હતી કે આ ફેરફારમાં નાણાં અને ફુગાવાની બાબત જોવા મળતી નથી.
નાણાંપ્રધાન પી.ચિદમ્બરમની આગેવાનીમાં મંત્રીઓના સમુહની બેઠક યોજાઇ હતી અને તેમણે આવકનું સ્તર વધારવા અંગે સ્પેશ્યલ જસ્ટીસ મંત્રાલયે કરેલા સૂચનની તરફેણ કરી હતી. ક્રિમી લેયરની મર્યાદા વધારવા અંગે નાણાં મંત્રીએ એવી દલીલ આપી છે કે કવોટા અંગેની જાળ ઉંચી કરવાથી ઓબીસીમાં જેઓ ખરેખર ગરીબ અને જરૂરીયાતવાળા લોકો છે તેમને અલગ તારવી શકાશે. જાણકારોના મતે આવક અંગેની મર્યાદા ઊંચી કરવાથી વધુ લોકોને રિઝર્વેશનનો ફાયદો મળશે. જો કે કેન્દ્રીય કેબીનેટમાં મંજુરી મળ્યા બાદ જ ક્રિમી લેયરની મર્યાદા વધારવા અંગે અંતિમ અમલ થશે. મંત્રીઓના સમુહની મંજુરી બાદ હવે કેન્દ્રીય કેબીનેટની મંજુરી મેળવાશે.
વડાપ્રધાન કાર્યાલયના મંત્રી નારાયણ સામી, પેટ્રોલીયમ મંત્રી વિરપ્પા મોઇલી અને ઓવરસીઝ ઇન્ડીયન અફેર્સ મિનીસ્ટર વ્યાલર રવિએ કેબીનેટમાં ક્રિમી લેયરની મર્યાદા રૂપિયા 6 લાખ કરવાનો વિરોધ કરી તે રૂપિયા 7 લાખ કરવા પર ભાર મુકયો હતો. આ મામલે વડાપ્રધાન મનમોહન સિંહે પણ ચર્ચા વિચારણા કરી છે.
વર્ષ 1993માં ઇન્કમની મર્યાદા રૂપિયા 1 લાખ કરવામાં આવી હતી. જે 2004માં રૂપિયા 2.50 લાખ અને 2008માં રૂપિયા 4.50 લાખ કરાઇ હતી. જે હવે રૂપિયા 6 લાખ કરવા કવાયત હાથ ધરાઇ છે.