દિલ્હીમાં Odd-Even ફરી લાગુ, સરકારે કરી જાહેરાત
દિલ્હીમાં 13થી 17 નવેમ્બર દરમિયાન ફરી લાગુ થશે ઓડ-ઇવન સિસ્ટમ
સ્મૉગનો શિકાર બનેલ દિલ્હી શહેરમાં ફરી એકવાર ઓડ-ઇવન સિસ્ટમ લાગુ થશે. દિલ્હી સરકારના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે ગુરૂવારે આ અંગે જાહેરાત કરી હતી. આ વખતે ઓડ-ઇવન સિસ્ટમ 13થી 17 નવેમ્બર સુધી લાગુ કરવામાં આવી છે. આ નિયમ અનુસાર, દિલ્હીમાં ઓડ તારીખે ઓડ નંબરની ગાડીઓ અને ઇવન તારીખે ઇવન નંબરની ગાડીઓ જ રસ્તા પર નીકળી શકશે. કૈલાશ ગેહલોતે જણાવ્યું હતું કે, કાલથી ગાડીઓ માટેના આઈજીએસ સ્ટિકર્સ 22 સીએનજી સ્ટેશન પર ઉપલબ્ધ રહેશે. આ જાહેરાત અનુસાર, હવે તા. 13, 15 અને 17ના રોજ ઓડ નંબરની ગાડીઓ ચલાવાશે તથા તા. 14 અને 16ના રોજ ઇવન નંબરની ગાડીઓ ચલાવાશે. ટુ-વ્હીલર્સને આ વખતે પણ છૂટ આપવામાં આવી છે. ટેક્સી અને ઓટોએ ઓડ-ઇવન સિસ્ટમનું પાલન કરવાનું રહેશે.

કૈલાશ ગેહલોતે આગળ જણાવ્યું હતું કે, આ સમસ્યા માત્ર દિલ્હીની નહીં, પરંતુ આખા ભારતની છે. આથી અમે પીએમ મોદીને આ મામલે તાત્કાલિક બેઠક બોલાવવા વિનંતી કરીએ છીએ. આ સિવાય નાગરિકોને પરિવાહનમાં તકલીફ ન ઉઠાવવી પડે એ માટે અતિરિક્ત બસોની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ પહેલાં દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ મામલે એનજીટી દ્વારા મોટો નિર્ણય સંભળાવવામાં આવ્યો હતો. જે હેઠળ એનસીઆરમાં ચાલી રહેલ તમામ નિર્માણ કાર્ય પર રોક લગાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જો કે, નિર્માણ કાર્ય બંધ રહેવા છતાં પણ મજૂરોને મહેનતાણું મળતુ રહેશે. એનજીટી દ્વારા દિલ્હીમાં વધતા પ્રદૂષણ મામલે દિલ્હી સરકારની ખબર લીધી હતી. તો દિલ્હી હાઇકોર્ટે પણ આ મામલે પર્યાવરણ મંત્રાલયને ઇમરજન્સિ બેઠક કરવાનો આદેશ આપ્યો હતો.












Click it and Unblock the Notifications
