Delhi Tourism: હવે બદલાશે જૂની દિલ્હીની તસવીર! સિટી બનશે ઇન્ટરનેશનલ ટુરિઝમ હબ, CM રેખાનો મોટો નિર્ણય
Delhi Tourism News: દિલ્હી સરકારે રાજધાનીના હૃદય સમાન ગણાતી 'વૉલ્ડ સિટી', એટલે કે જૂની દિલ્હીના કાયાકલ્પ માટે એક મહત્વાકાંક્ષી યોજના તૈયાર કરી છે. CM રેખા ગુપ્તાએ સ્પષ્ટ કર્યું કે તેમની સરકાર જૂની દિલ્હીના સર્વગ્રાહી પુનર્વિકાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી, તેને મુખ્ય પર્યટન કેન્દ્ર બનાવશે.

શાહજહાનાબાદ રિડેવલપમેન્ટ કોર્પોરેશન (SRDC)નો કાર્યભાર સંભાળતા CM ગુપ્તાએ જણાવ્યું કે, "ઐતિહાસિક વારસાનું સંવર્ધન કરતા આધુનિક સુવિધાઓ આપવી એ સરકારની પ્રતિબદ્ધતા છે." તેમણે શાહજહાનાબાદને ફક્ત એક વિસ્તાર નહીં, પરંતુ દિલ્હીની સાંસ્કૃતિક આત્મા ગણાવી.
યોજના અંતર્ગત, જૂની દિલ્હીની સાંકડી ગલીઓમાં ફેલાયેલા ઓવરહેડ વીજળીના તાર હવે જમીનની અંદર નાખવામાં આવશે. આનાથી અકસ્માતોનું જોખમ ઘટશે અને વિસ્તારની સુંદરતા વધશે, જે પર્યટનને પ્રોત્સાહન આપવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.
જૂની દિલ્હીના બજારોમાં ટ્રાફિક જામની સમસ્યા હલ કરવા સરકાર એક વ્યાપક ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન બનાવશે. ભીડભાડવાળા વિસ્તારોમાં મલ્ટી-લેવલ પાર્કિંગ સુવિધાઓ વિકસાવવામાં આવશે, જેથી સ્થાનિકો અને પર્યટકો બંનેને રાહત મળી શકે.
CM રેખા ગુપ્તાના મતે, જૂની દિલ્હી એક જીવંત રહેણાંક ક્ષેત્ર છે, જ્યાં સદીઓ જૂની હવેલીઓ અને કૂચા ઇતિહાસ કહે છે. સરકારનો ઉદ્દેશ્ય વિકાસ સાથે આ વારસાનું સંરક્ષણ સુનિશ્ચિત કરવાનો છે. ઐતિહાસિક ઇમારતો અને માળખાકીય સુવિધાઓ બંનેને મજબૂત કરાશે.
સરકાર હાલના અને પ્રસ્તાવિત વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. ચાંદની ચોકના પુનર્વિકાસ બાદ જામા મસ્જિદ વિસ્તાર, શ્યામા પ્રસાદ મુખર્જી માર્ગ અને દિલ્હી ગેટથી કાશ્મીરી ગેટ સુધીના સૌંદર્યકરણ પ્રોજેક્ટ્સનો અભ્યાસ કરાશે. માર્ગ નિર્માણ અને સુધારણાના કાર્યો અવિરત પૂર્ણ કરાશે.
નોંધનીય છે કે, 1 મે 2008ના રોજ સ્થપાયેલું શાહજહાનાબાદ રિડેવલપમેન્ટ કોર્પોરેશન (SRDC) વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન સાધી જૂની દિલ્હીના વિકાસને વેગ આપવા કાર્યરત છે. હવે સરકાર આ મંચ દ્વારા 'વૉલ્ડ સિટી'ને વૈશ્વિક પર્યટન નકશા પર નવી ઓળખ અપાવવાની દિશામાં આગળ વધી રહી છે.












Click it and Unblock the Notifications
