રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓએ હિરાબાના અવસાનને લઈને શોક વ્યક્ત કર્યો
પીએમ મોદીના માતા હિરાબા 100 વર્ષના હતા અને ગઈકાલે તબિયત બગડતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. અહીં હિરાબાએ આજે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા હતા.
ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હિરાબાના નિધનને લઈને દેશભરમાંથી શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. પીએમ મોદીને તમામ લોકો સાંત્વના પાઠવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને બહુજન સમાજ પાર્ટીની અધ્યક્ષ માયાવતી સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીના માતા હિરાબા 100 વર્ષના હતા અને ગઈકાલે તબિયત બગડતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. અહીં હિરાબાએ આજે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા હતા.

રાહુલ ગાંધીએ ગઈકાલે હિરાબા બિમાર હોવાની ખબર મળતા ટ્વિટ કરીને સારા થવાની કામના કરી હતી. જો કે આજે સવારે હિરાબાનું અવસાન થતા રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાના નિધનના સમાચાર અત્યંત દુખદ છે. આ મુશ્કેલ સમયમાં હું તેમને અને તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના અને પ્રેમ વ્યક્ત કરું છું.
રાહુલ ઉપરાંત કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ શોક વ્યક્ત કર્યો અને ટ્વિટ કરીને લખ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. ભગવાન દિવંગત પવિત્ર આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે અને શ્રી @narendramodi અને તેમના પરિવારના તમામ સભ્યોને આ દુઃખની ક્ષણોમાં હિંમત આપે. ઓમ શાંતિ!
બહુજન સમાજવાદી પાર્ટીની અધ્યક્ષા માયાવતીએ પણ શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબેનના નિધનના સમાચારથી ખૂબ જ દુઃખ થયું. તેમના સમગ્ર પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના. કુદરત તેમને અને તેમના તમામ સ્નેહીજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.
સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે પણ શોક વ્યક્ત કર્યો હતો અને ટ્વિટ કરીને લખ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા શ્રીમતી હીરાબેન મોદીના નિધનથી અત્યંત દુખ થયું. તેમની આત્માને શાંતિ મળે. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના. ભાવનાત્મક શ્રદ્ધાંજલિ












Click it and Unblock the Notifications
