WHO દ્વારા મંજૂર કરાયેલી 8 રસીઓમાંથી 2 ભારતીય, 96 દેશોએ મંજૂરી આપી!
ભારત બાયોટેક દ્વારા વિકસિત કોવેક્સિનને કટોકટીના ઉપયોગ માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) તરફથી લીલી ઝંડી મળી ગઈ છે.
નવી દિલ્હી, 09 નવેમ્બર : ભારત બાયોટેક દ્વારા વિકસિત કોવેક્સિનને કટોકટીના ઉપયોગ માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ મંગળવારે જણાવ્યું હતું કે WHOએ અત્યાર સુધીમાં કોરોના વાયરસ સામેની ઇમરજન્સી યુઝ લિસ્ટ (EUL)માં વિશ્વભરની આઠ રસીઓનો સમાવેશ કર્યો છે, જેમાંથી બે ભારતીય રસીઓ કોવેક્સિન અને કોવિશિલ્ડ છે. આ સિવાય 96 દેશોએ પણ બે રસીને પણ માન્યતા છે.
વર્લ્ડ હેલ્થ બોડીની ટેકનિકલ સલાહકાર ટીમે 3 નવેમ્બરના રોજ 18 અને તેથી વધુ ઉંમરના લોકો માટે ભારત બાયોટેક દ્વારા નિર્મિત કોવેક્સિનની ભલામણ કરી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, ભારતની રસી અને અમારી રસીકરણ પ્રક્રિયાને જોયા પછી વિશ્વના 96 દેશોએ કોવેક્સિન અને કોવિશિલ્ડના રસીકરણ માટે પરસ્પર સ્વીકૃતિ આપવા સહમત થયા છે. તેમણે કહ્યું કે સરકાર વિશ્વના સૌથી મોટા COVID-19 રસીકરણ કાર્યક્રમના લાભાર્થીઓને વિદેશ પ્રવાસ કરવાની મંજૂરી આપવા માટે અન્ય દેશો સાથે વાતચીત કરી રહી છે. શિક્ષણ, વ્યાપાર અને પ્રવાસન હેતુઓ માટે મુસાફરીને સરળ બનાવવા માટે સરકાર કાર્યરત છે.
અત્યાર સુધીમાં જે 96 દેશોએ ભારતીય રસીને માન્યતા આપી છે તેમાં યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ, કેનેડા, જર્મની, બેલ્જિયમ, આયર્લેન્ડ, નેધરલેન્ડ, સ્પેન, બાંગ્લાદેશ, રશિયા, કુવૈત, ઓમાન, સંયુક્ત આરબ અમીરાત, માલદીવ અને બ્રાઝિલનો સમાવેશ થાય છે. માંડવિયાએ વધુમાં કહ્યું કે દેશમાં અત્યાર સુધીમાં જીવલેણ વાયરસ સામે રસીના 109 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, હર ઘર દસ્તક અંતર્ગત આરોગ્ય કર્મચારીઓ દરેક ઘરની મુલાકાત લઈને રસીકરણ અભિયાન ચલાવી રહ્યા છે.