જેલ જવાના સવાલ પર ચિદમ્બરમે કહ્યું, મને માત્ર અર્થતંત્રની ચિંતા છે
જેલ જવાના સવાલ પર ચિદમ્બરમે કહ્યું, મને માત્ર અર્થતંત્રની ચિંતા છે
નવી દિલ્હીઃ આઈએનએક્સ મીડિયા કેસમાં ધરપકડ કરાયેલ કોંગ્રેસી નેતા પી ચિદમ્બરમને સીબીઆઈની વિશેષ અદાલતથી રાહત મળી નથી. ચિદમ્બરમે 19 સપ્ટેમ્બર સુધી તિહાર જેલમાં રહેવું પડશે. તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે મીડિયાએ તેમના ન્યાયિક કસ્ટડી વિશે સવાલ પૂછ્યો તો તેમણે કહ્યું કે, હાલ મને માત્ર અર્થવ્યવસ્થાની ચિંતા છે. જણાવી દઈએ કે 2 દિવસની સીબીઆઈ કસ્ટડી ખતમ થયા બાદ એજન્સીએ ચિદમ્બરમને ગુરુવારે કોર્ટમાં હાજર કર્યા.
દિલ્હીની એક અદાલતે ગુરુવારે આઈએનએક્સ મીડિયા મામલે પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે. કોર્ટના આદેશ બાદ ચિદમ્બરમને તિહાડ સેન્ટ્રલ જેલ મોકલવામાં આવશે. સ્પેશિયલ જજ અજય કુમાર કુહાડે ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલની એ દલીલ ફગાવી દીધી જેમાં તેમણે કહ્યું હતું કે તેમના મુવક્કિલને ન્યાયિક કસ્ટડીમાં ન મોકલવા જોઈએ.
અગાઉ કોર્ટ દ્વારા ન્યાયિક કસ્ટડીમાં મોકલવા પર ચિદમ્બરમને પૂછ્યું કે તમે શું કહેવા માંગો છો તો તેમણે કહ્યું હતું કે મને માત્ર ઈકોનોમીની ચિંતા છે. પી. ચિદમ્બરમે કોર્ટમાં અરજી આપી હતી કે ન્યાયિક ધરપકડમાં મને સારી સુરક્ષા ઉપલબ્ધ રાવવામાં આવે. આ દરમિયાન ચિદમ્બરમના વકીલોએ કોર્ટમાં અરજી આપી કે ચિદમ્બરમ ઈડી સમક્ષ સરેન્ડર કરવા માંગે છે. આ મામલે કોર્ટે ઈડી પાસે જવાબ માંગ્યો છે. આના પર 12 સપ્ટેમ્બરે સુનાવણી થશે.
અગાઉના દિવસે સુપ્રીમ કોર્ટે ચિદમ્બરમની પ્રવર્તન નિદેશાલયની ધરપકડથી આગોતરા જામીનની અરજી ફગાવી દીધી. ચિદમ્બરમની અરજીને રદ્દ કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, 'સામાન્ય રીતે આર્થિક અપરાધોમાં આગોતરા જામીન આપવામાં આવતા નથી. તથ્યો અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આ કેસ આગોતરા જામીનને લાયક નથી.'
આ પણ વાંચો- INX Media Case: પી ચિદમ્બરમને 14 દિવસ માટે તિહાર જેલ મોકલવામાં આવ્યા