pahalgam Terror Attack : પહેલગામ હુમલા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?
pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા ઘાતક આતંકી હુમલાએ દેશને હચમચાવી દીધો છે. આ હુમલામાં 26 નિર્દોષ લોકોના જીવ ગયા છે.
હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના મધુબનીમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના કાર્યક્રમમાં આ હુમલા પર પ્રથમ જાહેર નિવેદન આપ્યું. તેમણે આતંકવાદીઓ અને તેમના સમર્થકોને ચેતવણી આપી કે ભારત તેમને શોધીને સજા કરશે, ભલે તેમનો પીછો વિશ્વના કોઈપણ ખૂણે કરવો પડે.

નરેન્દ્ર મોદીએ કહ્યું કે, બિહારની ધરતી પરથી હું વિશ્વને કહું છું, ભારત દરેક આતંકવાદીને ઓળખશે અને ન્યાયની ખાતરી કરશે. તેમણે હુમલાને ભારતની આત્મા પરના હુમલા તરીકે ગણાવ્યો અને પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા બે મિનિટનું મૌન રાખ્યું. આ ઘટના 2019ના પુલવામા હુમલા બાદનો સૌથી મોટો આતંકી હુમલો છે.
સુરક્ષા એજન્સીઓએ હુમલા પાછળ પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના પ્રોક્સી જૂથ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)નો હાથ હોવાનું જણાવ્યું છે.
ભારતે તાત્કાલિક પગલાં લેતા સિંધુ વોટર ટ્રીટી સ્થગિત કરી છે. આ સિવાય અટારી બોર્ડર બંધ કરીને પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કર્યા છે. પાકિસ્તાનના લશ્કરી રાજદૂતોને દેશ છોડવા આદેશ કરાયા છે.
તેમણે હુમલાની નિંદા કરી અને રાષ્ટ્રની એકતાને મજબૂત કરવાની હાકલ કરી. વચન આપ્યું કે આતંકવાદ સામે ભારતની લડાઈ અટકશે નહીં, અને ન્યાય માટે દરેક પગલું ભરવામાં આવશે.
આ હુમલાએ ફરી એકવાર જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે. દેશભરમાં લોકો આતંકવાદ સામે એકજૂટ થઈ રહ્યા છે અને સરકારે કડક કાર્યવાહીની ખાતરી આપી છે.












Click it and Unblock the Notifications
