અફઝલ ગુરુ મુદ્દે સંસદમાં હોબાળો
આ મુદ્દે પક્ષ વતી વાત કરતા ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીએ જણાવ્યું કે અફઝલના મુદ્દે પાકિસ્તાને તમામ હદો વટાવી દીધી છે. અફઝલને ફાંસી મુદ્દે પાકિસ્તાને નીંદા પ્રસ્તાવ પસાર કરીને આતંકવાદ ચાલુ રાખવા પર મહોર લગાવી છે. આવી સ્થિતિમાં ભારતે હવે પાકિસ્તાન સાથે કોઇ પણ મુદ્દે વાતચીત કરવી જોઇએ નહીં.
તેમણે જણાવ્યું કે આવી સ્થિતિમાં ભારતની વિદેશ નીતિ પર પણ વિચાર કરવો જોઇએ. આ સાથે સરકારે એમ પણ નક્કી કરવું જોઇએ કે પાકિસ્તાન સાથે કેવી રીતે હવે વ્યવહાર રાખવો જોઇએ. બીજી તરફ કેન્દ્ર સરકારે જણાવ્યું કે પાકિસ્તાનની કાર્યવાહી નીંદનીય છે.
બીજી તરફ ભાજપના નેતા યશવંત સિંહાએ જણાવ્યું કે પાકિસ્તાનના આ પગલા પર લોકસભામાં પ્રશ્નકાલ પર વિરામ મૂકીને આ મુદ્દે ચર્ચા કરાવવી જોઇએ. યશવંત સિંહાએ જણાવ્યું કે અફઝલ મુદ્દે પાકિસ્તાનની સંસદમાં જે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે તે અમને કોઇ પણ રીતે મંજૂર નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પાકિસ્તાનની વિરુદ્ધ કોઇ પણ હાલતમાં પ્રસ્તાવ પસાર કરવો જોઇએ.
ભારતીય સંસદ પર હુમલાના ગુનેગાર અફઝલ ગુરુને ફાંસી પર પાકિસ્તાનની સંસદમાં પસાર કરવામાં આવેલા પ્રસ્તાવ પર ભારતે તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. ભારતે જણાવ્યું છે કે પાકિસ્તાન પોતાની હદમાં રહે તો જ સારું રહેશે.
આ અંગે વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે જણાવ્યું કે પાકિસ્તાની સંસદનો પ્રસ્તાવ ભારતની આંતરિક બાબતમાં કારણ વગરો રસ દર્શાવે છે. પાકિસ્તાન પોતાને પોતાના ઘરના મામલા સુધી સીમિત રાખે તેમાં જ તેનું ભલું છે. છેલ્લા કેટલાક સમયમાં પાકિસ્તાને કાશ્મીર મુદ્દે પોતાની ઉતાવળ દર્શાવી છે.