યુપી વિધાનસભા ચૂંટણી 2017: હરદોઇ અને બારાબંકીમાં ગર્જ્યા પીએમ મોદી
ગુરૂવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના હરદોઇ અને બારાબંકીમાં જનસભાનું સંબોધન કર્યું હતું.
ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણી માં પહેલા બે ચરણમાં ભારે મતદાન થઇ ચૂક્યું છે, તમામ અનુમાનો ભાજપ ની જીત તરફ ઇશારો કરી રહ્યાં છે. એવામાં નરેન્દ્ર મોદી પણ આ સમય પરિસ્થિતિનો પૂરો લાભ ઉઠાવતાં પૂર જોશથી ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. ગુરૂવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના હરદોઇ અને બારાબંકીમાં જનસભાનું સંબોધન કર્યું હતું.
હરદોઇમાં સપા, બસપા, કોંગ્રેસ પર ગર્જ્યા પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરદોઇમાં કહ્યું કે, યુપી દેશનો ખૂબ મોટો પ્રદેશ છે, અહીંથી ગરીબી જતી રહી તો સમજી લો આખા દેશની ગરીબી જતી રહી. અહીંના લોકો મહેનતુ છે, અહીંની જમીન ઉપજાઉ છે, આમ છતાં અહીંથી ગરીબી જવાનું નામ નથી લેતી. લોકોમાં કોઇ ખોટ નથી, સામર્થ્ય અને પૈસાની પણ ખોટ નથી, ખોટ અહીંની સરકારમાં છે.
અહીં વાંચો - મુકેશ અંબાણીએ ડોનાલ્ડ ટ્રંપને ભારત માટે કહ્યા વરદાનરૂપ
'હું ગુજરાતમાં જન્મ્યો, પરંતુ યૂપી એ મને દત્તક લીધો'
તેમણે કહ્યું કે, સપા, બસપા કે કોંગ્રેસ, કોઇએ ક્યારેય યુપીના વિકાસ અંગે વિચાર નથી કર્યો. સૌએ માત્ર પોતાની વોટબેન્કનો વિચાર કર્યો છે. તમે લોકોએ મને સાંસદ બનાવ્યો, ઉત્તર પ્રદેશે એટલી તાકાત આપી કે દેશને સ્થિર સરકાર મળી, આ યૂપીનો આશીર્વાદ છે કે એક ગરીબ માંનો દીકરો આજે દેશનો વડાપ્રધાન બન્યો છે. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઉત્તર પ્રદેશની ધરતી પર થયો હતો અને ગુજરાત તેમની કર્મભૂમિ હતી, જ્યારે હું ગુજરાતમાં જન્મ્યો પરંતુ ઉત્તર પ્રદેશે મને દત્તક લઇ લીધો, જેમણે મને દત્તક લીધો એ જ મારા માતા-પિતા છે, અહીંની પરિસ્થિતિ બદલવી એ મારું કર્તવ્ય છે અને આ માટે મને તમારો આશીર્વાદ જોઇએ છે.
બારાબંકીમાં અખિલેશ પર આકરા પ્રહારો
ઉત્તર પ્રદેશના બારાબંકીમાં જનસભાને સંબોધિત કરતાં તેમણે અખિલેશ યાદવ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે અખિલેશ યાદવને ઉદ્દેશીને પ્રશ્ન પૂછ્યો હતો કે, ઉત્તર પ્રદેશમાં લોકો તમારો આટલો વિરોધ કે કરી રહ્યાં છે. આપણા દેશોમાં જો કોઇ પ્રદેશમાં દલિતો પર સૌથી વધુ અત્યાતાર થતો હોય તો તે ઉત્તર પ્રદેશમાં. જો કોઇ દલિત પોલીસ મથકમાં ફરિયાદ લઇને જાય તો તેમની ફરિયાદ પણ નોંધવામાં નથી આવતી. ઉત્તર પ્રદેશના દલિતોને કોર્ટમાં જવાની ફરજ પડી અને કોર્ટના આદેશ બાદ દલિતો પર થયેલા અત્યાચાર વિરુદ્ધ મામલો નોંધાયો.
અહીં વાંચો - શશિકલા કેદી નં.9934, જેલમાં કરશે આ કામ
'અખિલેશજીએ પોલીસ મથકને સપાનું કાર્યાલય બનાવી દીધું'
નરેન્દ્ર મોદીએ આગળ કહ્યું કે, અખિલેશજીએ પોલીસ મથકને સપાનું કાર્યાલય બનાવી દીધું છે. ત્યાં પોલીસ મથકના બે અને સપાના પાંચ ગુંડાઓ બેઠા હોય છે. જ્યાં સુધી સપાના ગુંડાઓ હા ન પાડે ત્યાં સુધી પોલીસ મથકમાં ફરિયાદનો એક પણ શબ્દ લખવાની કોઇ હિંમત નથી કરતું. આ સ્થિતિ બદલવી પડશે, જ્યાં સુધી સપા, બસપા અને કોંગ્રેસને સજા ન મળે ત્યાં સુધી સ્થિતિ નહીં બદલાય.