વડાપ્રધાન મોદી ઋષિકેશ પહોંચ્યા, ટૂંક સમયમાં કરશે એમ્સ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારના રોજ ઉત્તરાખંડના ઋષિકેશ પહોંચ્યા છે, જ્યાં તેઓ એમ્સ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે.
ઋષિકેશ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારના રોજ ઉત્તરાખંડના ઋષિકેશ પહોંચ્યા છે, જ્યાં તેઓ એમ્સ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન મોદીની આ મુલાકાતને આગામી વર્ષે ઉત્તરાખંડમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી સાથે જોડવામાં આવી રહી છે. એવી અટકળો છે કે, ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદી ભવિષ્યમાં પણ રાજ્યમાં આવી ઘણી મુલાકાતો કરી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડાપ્રધાન મોદી સાથે સેનાનું હેલિકોપ્ટર ગુરુવારની સવારે લગભગ 11 કલાકે એમ્સ ઋષિકેશના હેલિપેડ પર ઉતર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ સંકટ વચ્ચે પીએમ કેયર્સ ફંડની આર્થિક મદદ બાદ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ઋષિકેશમાં આધુનિક ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવ્યો હતો, જેનું ઉદ્ઘાટન PM મોદી આજે કરવા જઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીના સ્વાગત માટે દેવભૂમિ તૈયાર કરવામાં આવી હતી.
સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) એ સ્થળ અને આસપાસના વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા સંભાળી છે. વડાપ્રધાન મોદીની મુલાકાતના એક દિવસ પહેલા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને ઉચ્ચ અધિકારીઓએ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.