#ParikshaPeCharcha : પરીક્ષાની તૈયારી પર મોદીની સલાહ
બોર્ડ પરીક્ષા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તેમને પરીક્ષા અંગે સલાહ સૂચન આપ્યા. ત્યારે પીએમ મોદીએ વિદ્યાર્થીઓને શું કહ્યું સંક્ષિપ્તમાં જાણો
બોર્ડથી પરીક્ષાઓ નજીક આવી રહી છે. પરીક્ષાની ચિંતા અને આગળ વધવાની ઇચ્છા સાથે વિદ્યાર્થીઓ આ મામલે મહેનત કરી રહ્યા છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ જોડે દિલ્હીમાં આ મામલે વાતચીત કરી હતી. પીએમ મોદીએ અનોખી પહેલ કરીને શુક્રવારે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં તનાવ મુક્ત થવા માટે સલાહ આપી તેમની સાથે સંવાદ કર્યો હતો. તેમણે સ્ટેડિયમમાં હાજર વિદ્યાર્થીઓ સમેત ટીવીના માધ્યમથી લાઇવ સવાલોના જવાબ પણ આપ્યા હતા. વિદ્યાર્થીઓ સાથે વાતચીતમાં પીએમ યોગના મહત્વ વિષે વાત કરી હતી. તેમણે કહ્યું કે યોગ વિજ્ઞાન છે. અને યોગથી ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે. પીએમ વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન સરખી ઊંધ લેવાની પણ સલાહ આપી. તેમણે કહ્યું કે તમારી ઊંધ તેવી હોવી જોઇએ કે તમને માત્ર 30 સેકન્ડમાં તમારી પથારી પર ઊંધ આવી જાય અને પછી તમારે જ્યારે ઉઠવાનું હોય ત્યારે કોઇના જગાડ્યા વગર તમે જાતે જ જાગી જાવ. સાથે જ મોદીએ યોગ નિદ્રા પર પણ જોર આપ્યું. તેમણે કહ્યું કે યોગ નિદ્રાથી તનાવ મુક્ત રહેવાય છે.
ત્યારે પીએમ મોદીને વિદ્યાર્થીઓ સાથે સવાલ જવાબ કર્યા હતા ત્યારે એક વિદ્યાર્થીએ તેમને પુછ્યું હતું કે તમારી પણ 2019ની લોકસભાના સ્વરૂપમાં પરીક્ષા આવી રહી છે તો તમે કેવી રીતે તેને જોવો છો. આ સવાલના જવાબમાં મોદીએ કહ્યું હતું કે જો હું તારા શિક્ષક હોત તો તને પત્રકારત્વમાં આગળ વધવાની સલાહ આપત કારણ કે આવી રીતે લપેટાઇને પત્રકારો જ સવાલ પૂછતા હોય છે. વધુમાં પીએમ મોદીએ આ પ્રસંગે માતા પિતાઓને પણ સલાહ આપી કે તે પોતાની સાથે ઇચ્છાઓનું ભૂત ના પાળીને રાખે. સાથે જ તેમણે 18 વર્ષના યુવક યુવતી સાથે મિત્ર બનીને રહેવાની અને પરિવારમાં પરીક્ષા સમયે ખુલ્લા વાતાવરણની વાત કરી. સાથે જ તેમણે કહ્યું કે બીજા સાથે સ્પર્ધામાં ઉતરવાની બદલે પોતાની સાથે પ્રતિસ્પર્ધા કરવાનું કહ્યું. ત્યારે કાર્યક્રમની અંતે પીએમ મોદીએ દેશના તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. અને મહેનત કરતા રહેવાની શીખ આપી હતી.