PM મોદીની મન કી બાતઃ દિવ્યાંગ ભાઇ-બહેનો છે સામર્થ્યવાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં ઇસરોના વૈજ્ઞાનિકોને પાઠવ્યા અભિનંદન.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આજે 'મન કી બાત' કાર્યક્રમમાં ઇસરો ની સફળતા પર અભિનંદન પાઠવતા કહ્યું કે, એકસાથે 104 સેટેલાઇટ લોન્ચ કરીને ઇસરોએ મોટી સફળતા હાંસલ કરી છે, ભારતના વૈજ્ઞાનિકોની સફળતાને દુનિયાના વૈજ્ઞાનિકોએ વખાણી છે. પીએમ એ કહ્યું કે, આપણા ઉપગ્રહોએ ત્યાં પહોંચતા જ તસવીરો મોકલવાનું શરૂ કરી દીધું છે. આ અભિયાનમાં યુવાઓ અને મહિલાઓએ આગળ રહી મહત્વનો ભાજ ભજવ્યો છે. આ માટે હું તેમને અભિનંદન પાઠવું છું.

દેશને વૈજ્ઞાનિકોની જરૂર છે
વડાપ્રધાને કહ્યું કે, "આજે જરૂર છે કે યુવાઓ વિજ્ઞાનમાં રુચિ લે, આપણને ઘણા બધા વૈજ્ઞાનિકોની જરૂર છે. ક્યારેક સમસ્યાઓ જ સમાધાન માટે પ્રેરણારૂપ બને છે. થોડા દિવસો પહેલાં મુંબઇમાં ખૂબ વરસાદ પડ્યો હતો, કોઇ પણ કુદરતી આફત આવે ત્યારે સૌથી પહેલાં ગરીબ વર્ગ પ્રભાવિત થાય છે. પરંતુ અહીં એક એવા ઘરની રચના કરવામાં આવી, જે વરસાદથી ઊભી થતી તમામ હેરાનગતિથી તમને બચાવે છે."

ડિજિધનથી લોકોને ફાયદો
પીએમ એ કહ્યું કે, "લોકો રોકડની જગ્યાએ ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરી રહ્યાં છે. યુવાનો આમાં આગળ પડતો ભાગ લઇ રહ્યાં છે. લગભગ 2 મહિના થઇ ગયાં, જેમાં લોકોને પ્રતિ દિવસ રૂ.2000નું ઇનામ મળ્યું છે. અત્યાર સુધીમાં ડિજિધન યોજના હેઠળ 10 લોકોને ઇનામ મળી ચૂક્યું છે, 50 હજાર વેપારીઓને ઇનામ મળ્યાં છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 150 કરોડ રૂપિયાનું ઇનામ વહેંચવામાં આવ્યું છે. ઇનામ મેળવનારાઓમાં 15 વર્ષના યુવા પણ છે અને 65 વર્ષના વડીલ પણ છે."

125 કરોડ હાથોમાં ભીમ એપ પહોંચાડવાની છે
"14 એપ્રિલના રોજ બાબાસાહેબ જયંતિ છે, દિવસે કરોડો રૂપિયાનો ડ્રો થનાર છે. હું તમામ દેશવાસીઓને, દેશના યુવાઓને કહીશ કે, તમે બાબાસાહેબને યાદ રાખીને એક કામ કરો. ઓછામાં ઓછા 125 લોકોને ભીમ એપ ડાઉનલોડ કરતાં અને તેના દ્વારા પૈસાની લેવડ-દેવડ કરતાં શીખવાડો. તમે સ્વયં આના બ્રાન્ડ એમ્બેસેડર બનો અને તેને આગળ વધારો. આપણે 125 કરોડ લોકોના હાથમાં ભીમ એપ પહોંચાડવાની છે."

ટ્વિન પિટ શૌચાલય
"સ્વચ્છતા અભિયાન હજુ પણ ચાલે છે, ટ્વિન પિટ શૌચાલયની સફાઇમાં એક આઇએએસ ઓફિસરે સામે ચાલીને ભાગ લીધો છે. હું તેમનો આભારી છું, ટ્વિન પિટ શૌચાલય છ મહિનાની અંદર ડીકમ્પોઝ થઇ જાય છે અને તે કાળા સોનાનું કામ કરે છે. તે ખેડૂતો માટે એનપીકેનું કામ કરે છે અને કૃષિ ક્ષેત્રનું ખૂબ ઉત્તમ ખાતર કહેવાય છે."

ખેલાડીઓના પણ કર્યા વખાણ
"રિયો પેરાઓલમ્પિકમાં આપણા દિવ્યાંગ ખેલાડીઓનું પ્રદર્શન ખરેખર વખાણવા લાયક હતું, ગત મહિને ભારતની બ્લાઇન્ડ ટીમે પાકિસ્તાનને હરાવીને વિશ્વકપ પોતાના નામે કર્યો, તેમને હું અભિનંદન પાઠવું છું. દેશને તેમની પર ગર્વ છે, દિવ્યાંગોમાં ખૂબ સામર્થ્ય રહેલું છે. થોડા વખત પહેલાં જ મહિલા ખેલાડીઓએ રગ્બી જીતી, તેમને પણ હું અભિનંદન પાઠવું છું. બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાન નવી ઊંચાઇએ પહોંચ્યું છે, 8 માર્ચના રોજ જ્યારે આપણે મહિલા દિવસ ઉજવીશું ત્યારે આપણે યાદ રાખવાનું રહેશે કે મહિલા શક્તિ છે, તે કોઇનાથી ઓછી નથી, હું મહિલાઓને પ્રણામ કરું છું."













Click it and Unblock the Notifications
