મનમોહને કૌભાંડી મંત્રીઓ બંસલ, અશ્વિનીને ઘરભેગા કર્યા
નાટ્યાત્મક ઘટનાઓવાળા આજના દિવસ, શુક્રવારે કોંગ્રેસપ્રમુખ અને કેન્દ્રની યુપીએ સરકારનાં અધ્યક્ષા સોનિયા ગાંધી વડા પ્રધાન મનમોહન સિંહને મળ્યાં હતાં અને એવું નક્કી કરાયું હતું કે બંને પ્રધાનને રાજીનામા આપી દેવા કહી દેવું, જેથી અનેક કૌભાંડોથી ઘેરાયેલી સરકારનું નામ વધારે ન બગડે.
ભ્રષ્ટાચારની પ્રવૃત્તિઓમાં પોતાના નિકટના સગાંઓ અને સહયોગીઓની સંડોવણીના આરોપોને પગલે પવનકુમાર બંસલે સાંજે રેલવે પ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું. મલ્લિકાર્જુન ખાડગે બંસલના અનુગામી બને એવી ધારણા છે. મનમોહન સિંહની કેબિનેટમાં આવતા અઠવાડિયે ફેરફારો કરાય એવી ધારણા છે.
રેલવે બોર્ડના સસ્પેન્ડ કરાયેલા સભ્ય મહેશ કુમાર ૨૧ એપ્રિલે બંસલને મળ્યા હતા અને બીજી મેએ તેમને રેલવે બોર્ડમાં સભ્ય (ઈલેક્ટ્રિકલ) બનાવી દેવાયા હતા, જોકે તે સિગ્નલ્સ મેમ્બર હતા એવો સીબીઆઈએ પુરાવો મેળવ્યા બાદ બંસલને રાજીનામું આપવાનું જણાવવામાં આવ્યું હોવાનું સૂત્રોનું કહેવું છે.
રેલવે બોર્ડમાં આ રીતે અગાઉ ક્યારેય કોઈ નિર્ણય લેવાયો નહોતો અને સીબીઆઈએ વડા પ્રધાનને જણાવ્યું હતું કે રોકડ રકમના બદલામાં નોકરી આપવાના કૌભાંડમાં બંસલ સંડોવાયા હોવાનો તેની પાસે પુરાવો છે.
સીબીઆઈએ ગઈ ત્રીજી મેએ મહેશ કુમારની ધરપકડ કર્યા બાદ રાજીનામું આપવાનું બંસલ પર દબાણ હતું. મહેશ કુમાર રેલવે બોર્ડમાં મહત્વનો હોદ્દો મેળવવા માટે લાંચ ચૂકવવા માટે રૂ. ૯૦ લાખની રોકડ રકમ ભરેલી બેગ સાથે પકડાયા હતા. તે આ માટે બંસલના ભાણેજ વિજય સિંગ્લા સાતે સંપર્કમાં હતા.
અશ્વિની કુમાર પર આરોપ છે કે તેમણે કોલસા બ્લોક્સની ફાળવણીના કૌભાંડમાં તપાસ હાથ ધરનાર સીબીઆઈના અહેવાલમાં માથું મારી તેમાં ફેરફારો કર્યા હતા. બંસલ અને અશ્વિની કુમાર હોદ્દા પર ચાલુ રહેશે તો સરકારની વિશ્વસનીયતા વધારે ખરડાશે એ વિશે પાર્ટીમાં નારાજગી વધી રહી હોવાથી સોનિયા અને મનમોહન સિંહે બંને પ્રધાનને પડતા મૂકવાનો નિર્ણય લીધો છે. સરકાર આમેય છેલ્લા ત્રણેક વર્ષથી અનેક કૌભાંડો અને વિવાદોને કારણે ખૂબ ઝઝૂમી રહી છે.