વિજય માલ્યાને પીએમએલએ અદાલતે ભાગેડુ આર્થિક ગુનેગાર ઘોષિત કર્યો
બેંકોમાંથી લોન લઈને ભાગી ગયેલ વેપારી વિજય માલ્યાને મની લોંડ્રિંગ પ્રિવેન્શનલ એક્ટ (પીએમએલએ) ની વિશેષ અદાલતે ભાગેડુ આર્થિક ગુનેગાર ઘોષિત કરી દીધો છે.
બેંકોમાંથી લોન લઈને ભાગી ગયેલ વેપારી વિજય માલ્યાને મની લોંડ્રિંગ પ્રિવેન્શનલ એક્ટ (પીએમએલએ) ની વિશેષ અદાલતે ભાગેડુ આર્થિક ગુનેગાર ઘોષિત કરી દીધો છે. હવે માલ્યાની સંપત્તિને ઈડી જપ્ત કરી શકશે. વિજય માલ્યાની સંપત્તિઓ જપ્ત કરવા પર વિશેષ પીએમએલએ અદાલતમાં પાંચ ફેબ્રુઆરીએ સુનાવણી થશે. વિજય માલ્યાને ભાગેડુ આર્થિક ગુનેગાર ઘોષિત કરવા માટે ઈડીએ મુંબઈ સ્થિત પીએમએલએની વિશેષ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આના પર આજે અદાલતે ચુકાદો સંભળાવ્યો છે.
મુંબઈની સ્પેશિયલ અદાલત દ્વારા માલ્યાને આર્થિક ભાગેડુ ઘોષિત કરાયા બાદ ઈડીને તેની સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર મળી ગયો છે. માલ્યાને ભાગેડુ ગુનેગાર અધિનિયમ-2018 હેઠળ ભાગેડુ ઘોષિત કરતી અરજી પર ચુકાદા માટે મુંબઈની વિશેષ અદાલતે પહેલા 26 ડિસેમ્બરની તારીખ નક્કી કરી હતી. ત્યારે કોર્ટે આ ચુકાદાને 5 જાન્યુઆરી 2019 સુધી સુરક્ષિત કરી લીધો હતો. 62 વર્ષના વિજય માલ્યાએ પીએમએલએ કોર્ટમાં દલીલ કરી હતી કે તે ભાગેડુ ગુનેગાર નથી અને તે ના તો મની લોન્ડ્રિંગના ગુનામાં શામેલ છે.
માલ્યાએ ડિસેમ્બરમાં અદાલતને વિનંતી કરી હતી કે તેને આર્થિક ભાગેડુ ગુનેગાર ઘોષિત કરવા માટે ઈડી દ્વારા શરૂ કરવામાં આવેલી કાર્યવાહી પર રોક લગાવવામાં આવે. કોર્ટે માલ્યાની આ અરજીને ફગાવી દીધી હતી. વિજય માલ્યા પર અલગ અલગ બેંકોના નવ હજાર કરોડથી વધુનું દેવુ બાકી છે. માર્ચ 2016માં વિજય માલ્યા દેશમાંથી બહાર જતો રહ્યો હતો. વિજય માલ્યા હાલમાં લંડનમાં છે. લંડનની કોર્ટ માલ્યાના પ્રત્યાર્પણ માટે મંજૂરી આપી ચૂકી છે પરંતુ માલ્યા પાસે હાલમાં આની સામે અપીલ કરવા માટે સમય છે.
આ પણ વાંચોઃ અમેરિકાઃ 14 વર્ષોથી કોમામાં પડેલી મહિલાએ આપ્યો સ્વસ્થ બાળકને જન્મ