વારાણસી, 15 એપ્રિલ : આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ એક મહિના લાંબા ચૂંટણી પ્રચાર માટે વારાણસી પહોંચ્યા છે. અહીં આવતા જ તેમનું સ્વાગત પોસ્ટર હુમલાથી થયું છે. જેમાં તેમને 49 દિવસમાં જ દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવા બદલ 'ભાગેડુ' કહેવાયા છે.
વારાણસીમાં ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડી રહેલા અરવિંદ કેજરીવાલ મંગળવાર 15 એપ્રિલ સવારે ટ્રેન દ્વારા વારાણસી પહોંચ્યા હતા. તેમના સ્વાગત માટે કાંત રેલવે સ્ટેશન પર તેમના સમર્થકો મોટી સંખ્યામાં હાજર હતા.
એક તરફ આપ અને અરવિંદ કેજરીવાલના સમર્થકો તેમનું સ્વાગત ફુલોથી કરી રહ્યા હતા ત્યારે બીજી તરફ તેમના સ્વાગતમાં રેલવે સ્ટેશનની બહાર પોસ્ટર લગાવવામાં આવ્યા હતા જેમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીને 'ભાગેડુ' કહેવામાં આવ્યા હતા.
આ પોસ્ટર પર શબ્દો હતો કે 'દેખો દેખો દિલ્હી કા ભગૌડા આયા'. આપના સમર્થકોએ મોટી સંખ્યામાં લાગેલા આવા પોસ્ટર્સ દૂર કર્યા હતા. આમ છતાં કેટલાક પોસ્ટર્સ રહી ગયા હતા. આ દરમિયાન વાત વણસે નહીં તે માટે કડક પોલીસ સુરક્ષા પણ રાખવામાં આવી હતી.
આ વખતની લોકસભા ચૂંટણીમાં સૌથી લોકપ્રિય ઉમેદવાર ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને હરાવવાની પ્રતિજ્ઞા લેનાર અરવિંદ કેજરીવાલ હવે 12 મે સુધી વારાણસીમાં જ રહેવાના છે. તેઓ 23 એપ્રિલે પોતાનું ઉમેદવારીપત્ર ભરવાના છે. ઉમેદવારી નોંધાવવાનું 17 એપ્રિલથી શરૂ થશે. વારાણસીમાં 12 મેના રોજ ચૂંટણી યોજાવાની છે.
આ દરમિયાન તેઓ અમેઠીની મુલાકાત પણ લેશે. જ્યાં આપના ઉમેદવાર કુમાર વિશ્વાસ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સામે ચૂંટણી લડી રહ્યા છે. તેઓ 20થી 22 એપ્રિલની વચ્ચે અમેઠી જશે.